ઉનાળાની ગરમીને લઇને લોકો પહેલા જ ચિંતામાં જીવી રહ્યા છે ત્યારે હવે પાણીની સમસ્યા લોકો માટે એક મોટા પડકાર બરાબર બની રહી છે. ગુજરાતનાં અલગ-અલગ વિસ્તારોમાં પાણીને લઇને લોકો પરેશાન ચાલી રહ્યા છે, ત્યારે દાહોદમાં પાણીને લઇને લોકોનું જીવન કેવુ વ્યતિતિ થઇ રહ્યુ છે તે સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, દાહોદ જિલ્લામાં આવેલ દેવગઢબારિયા તાલુકાનાં બારા ખાતે એક જ કૂવા પર નભી રહેલ 35 થી 40 પરિવારો ને 2 થી 3 કિમીનો ફેરો ખાઈને માત્ર એક બેડૂ પાણી મળે છે.
ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઉનાળો આકારો સાબિત થઈ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં પાણી માટે લોકો વલખાં મારતા જોવા મળી રહ્યા છે દેવગઢ બારિયા તાલુકામાં આવેલ છેવાડાનાં ગામ બારા ખાતે ડુંગરોની વચ્ચે પટેલ ફળિયા માં રહેતા 35 થી 40 પરિવારો માટે પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે. છૂટા છવાયા રહેતા પરિવારો માટે એક જ કૂવો આવેલો છે જેમાં પણ પાણી તળિયે દેખાઈ રહ્યું છે ત્યારે આ કૂવા ઉપર ડુંગરો ચઢીને 2 થી 3 કિમી ચાલ્યા બાદ માંડ એક બેડું પાણી મળી રહ્યુ છે. લોકોને કૂવામાં પાણી ખલાસ થાય ત્યારે નવું પાણી આવે તેના માટે કલાકો રાહ જોવી પડે છે અને બાદમાં પણ એક જ બેડૂ પાણી મળે છે.
મજૂરી કામ કરી પેટિયું રળતા આદિવાસી પરિવારો માટે પાણીની સમસ્યા કોઇ નવી તો નથી પરંતુ જે સમય તે કામમાં કે મજૂરીમાં લગાવી શકે છે તે કલાકો પાણી માટે વેડફાય રહ્યા છે જેની અસર તેમની ઇનકમ ઉપર પણ પડે છે. ગામ લોકોની માંગ છે કે આ વિસ્તારમાં બીજા કૂવા તેમજ બોરની સુવિધા કરવામાં આવે તેમજ હાલમાં રહેલ કુવા અને બોર તેમજ હેડપંપોની સફાઈ કરી પાણીની વ્યવસ્થા કરવામાં આવે. લોકસભાની ચુંટણી હવે પૂર્ણ થવાની આરે છે ત્યારે પરિણામ પક્ષમાં આવ્યા બાદ નેતા આ ગામનાં લોકોનું સાંભળે છે કે નહી તે હવે જોવુ રહ્યુ.