ઓડિશામાં વીજળીએ તબાહી મચાવી છે. રાજ્યના 6 જિલ્લામાં શનિવારે 2 કલાકમાં 61 હજાર વખત વીજળી પડી હતી, જેના કારણે અલગ-અલગ જગ્યાએ 10 લોકોના મોત થયા. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજધાની ભુવનેશ્વરમાં વીજળી પડવાની સૌથી વધુ ઘટના સામે આવી છે.
ભુવનેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે બપોરથી અવિરત વરસાદ અને ગાજવીજ ચાલુ છે. આ દરમિયાન વીજળી પણ પડી હતી. ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (OSDMA)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે સાંજે 5.30 વાગ્યા સુધી વીજળી પડવાની 61 હજારથી વધુ ઘટનાઓ નોંધાઈ હતી.
ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શનિવારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વીજળી પડવાને કારણે 10 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો દાઝી ગયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે અંગુલમાં 01, બોલાંગીરમાં 02, બૌધમાં 01, જગતસિંહપુરમાં 01, ઢેંકનાલમાં 01 અને ખોરધામાં 04 મૃત્યુ નોંધાયા છે.
આ પહેલા મે મહિનામાં ઓડિશાના નયાગઢ જિલ્લામાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, જિલ્લાના સરનાકુલા વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાથી એક મહિલા સહિત 3 લોકોના મોત થયા હતા.
આગામી ચાર દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ભુવનેશ્વર અને કટક શહેરો સહિત ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થયો હતો. IMDએ આગામી ચાર દિવસમાં ઓડિશાના વિવિધ ભાગોમાં આવી જ સ્થિતિની આગાહી કરી છે.
એવું નોંધવામાં આવ્યું હતું કે સાયક્લોનિક સર્ક્યુલેશનથી ચોમાસું સક્રિય થયું છે જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થયો છે. ભુવનેશ્વર અને કટકમાં બપોરે 90 મિનિટમાં 126 મીમી અને 95.8 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે લોકોને વાવાઝોડા દરમિયાન સલામત સ્થળોએ આશરો લેવાની સલાહ આપી છે.
પ્રાદેશિક હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડિરેક્ટર એચઆર બિસ્વાસે જણાવ્યું હતું કે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર પણ એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે, જ્યારે 3 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડી પર વધુ એક ચક્રવાતી પરિભ્રમણ રચાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: PM Modi Interview/ G-20 પહેલા PM મોદીનો મોટો ઈન્ટરવ્યુ, કહ્યું- ભારતમાં ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા માટે કોઈ સ્થાન નથી
આ પણ વાંચો: Udhayanidhi’s Statement/ ‘સનાતન ધર્મ ડેન્ગ્યુ-મેલેરિયા જેવો છે’, CMના પુત્ર ઉધયનિધિના નિવેદનમાં ફસાયા, દિલ્હી પોલીસમાં ફરિયાદ દાખલ
આ પણ વાંચો: બાલાસોર ટ્રેન દુર્ઘટના/ CBIની ચાર્જશીટમાં આ ત્રણ અધિકારીઓના નામ સામે આવ્યા…!