કોરોના મહામારીની સાથોસાથ ક્ચ્છ જિલ્લામાં મ્યુકરમાઇકોસીસ મહામારીનો કહેર પણ વધી રહ્યો છે જોકે હજી પણ જિલ્લાનું તંત્ર આ મહામારીથી અજાણ હોય તેમ દર્દીઓ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી પરિણામે ઈંજકેશનના અભાવે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાના વારા આવ્યા છે.
ક્ચ્છ જિલ્લામાં હાલ સરકારી ચોપડે 30 જેટલા દર્દીઓ બ્લેક ફંગસની સારવાર લઈ રહ્યા છે. જોકે આ સારવાર માટે જરૂરી એવા ઈન્જેક્શન કચ્છમાં ક્યાંય મળતા નથી બ્લેક ફંગસની બીમારીમાં દર્દીના શરીરમાં ફંગસનો ફેલાવો અટકાવવા માટે ઈન્જેક્શન આપવું જરૂરી છે. પણ કચ્છમાં આ ઈન્જેક્શન મળતા નથી. રાજકોટ કે અમદાવાદમાં રઝળપાટ કરી માંડ ઇન્જેક્શન મળે છે.
જેથી દર્દીઓને ભારે હાલાકી થાય છે,ચોબારી ગામના બે દર્દીઓના તો ઈન્જેક્શનના અભાવે મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે ક્ચ્છના કોંગ્રેસ આગેવાન અરજણભાઈ ભુડિયાએ કહ્યું કે, માધાપર ગામમાં જ 4 થી 5 દર્દીઓ છે જેઓને ઈન્જેક્શન માંડમાંડ મળી શક્યા છે. સરકારે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ઉપરાંત સરકારી દવાખાનાઓ અને પ્રાઇવેટ તબીબોને આ ઈન્જેક્શન પહોંચાડવા જોઈએ જેથી દર્દીઓની સારવાર થઈ શકે.