ગાઝિયાબાદ,
રાજધાની દિલ્હી સાથે જોડાયેલા ગ્રેટર નોઈડાના શાહબેરી ગામમાં ધરાશાયી થયેલી બે બિલ્ડીંગની ઘટનાને હજી ગણતરીના દિવસો થયા છે, ત્યારે હવે ગાઝિયાબાદમાં વધુ એક ઈમારત ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે.
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મસૂરી વિસ્તારમાં એક નિર્માણધીન બિલ્ડીંગ ધરાશાયી થઇ છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત બિલ્ડીંગના કથામાળમાં અન્ય લોકો પણ હજી દબાયા હોવાની આંશકા સેવાઈ રહી છે.
જો કે આ ઘટના બાદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોચી ચૂકી છે અને રાહત બચાવ કાર્ય આરંભી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યારસુધીમાં કાથમાળમાં ફસાયેલા ૭ લોકોને બચાવવામાં આવ્યા છે, જયારે હજુ અન્ય ૬-૭ લોકો દબાયા હોવાની આશંકા છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, ધરાશાયી થયેલી બિલ્ડીંગ જે વિસ્તારમાં બનવવામાં આવી રહી છે, તે તમામ રીતે ગેરકાયદેસર રીતે વસાવવામાં આવી છે.
બીજી બાજુ આ ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગાઝિયાબાદના કલેકટર અને SSPને ઘટનાસ્થળે પહોચીને રાહત બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે આદેશ આપ્યો છે. સાથે સાથે આરોપીઓ વિરુધ FIR નોધી ગુનો દાખલ કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે.
મહત્વનું છે કે, ગ્રેટર નોઇડાના શાહબેરી વિસ્તારમાં મંગળવાર રાત્રે અંદાજે ૯ વાગ્યે બે બિલ્ડીંગ ધરાશાયી થઇ હતી અને આ ઘટના બાદ ચાલેલા ૪ દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ ૧૦ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.
જયારે શનિવાર સવારે નોઇડાના સેક્ટર-૬૩માં પણ એક નિર્માણધીન બિલ્ડીંગની દીવાલ પડી જવાની માહિતી સામે આવી હતી. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા અને ત્યારબાદ ૧૬ પરિવારોને અન્ય જગ્યાએ શિફ્ટ કરાયા હતા.