અન્ય બે અધિકારીને પણ ત્રણ- ત્રણ વર્ષની સજા,
દિલ્હી: વર્ષો જૂના કોલ બ્લોક ફાળવણી કૌભાંડ અંગેના એક કેસમાં આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ અદાલત દ્વારા પૂર્વ કોલસા સચિવ એચ.સી.ગુપ્તાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
પટિયાલા હાઉસ કોર્ટના સ્પેશિયલ સીબીઆઈ જજ ભરત પરાશરે ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરું રચવાના મામલામાં કોલસા મંત્રાલયના પૂર્વ સચિવ એચ. સી. ગુપ્તા, પૂર્વ સંયુક્ત સચિવ કે. એસ. ક્રોફા અને પૂર્વ નિર્દેશક કે. સી. સમરિયાને ત્રણ ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જો કે, પાછળથી ત્રણેય સરકારી કર્મચારીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે એક એક લાખ રૂપિયાના જાત મુચરકા ઉપર જામીન આપવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા આ ત્રણેય સરકારી અધિકારીઓને રૂપિયા 50 – 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
હજુ થોડા દિવસો પહેલાં જ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે એચ.સી.ગુપ્તાને દોષિત જાહેર કર્યા હતા અને સજાનો ચૂકાદો અનામત રાખી દીધો હતો. આજે દિલ્હીની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ દ્વારા પૂર્વ સચિવ એચ. સી. ગુપ્તાને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ભૂતકાળની યુપીએ સરકાર વખતે આ કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી.
વિકાસ મેટલ્સના એમ.ડી. અને ભાગીદારને પણ ચાર ચાર વર્ષની સજા
પૂર્વ સચિવ ગુપ્તા ઉપરાંત અન્ય બે અધિકારીઓ કે.એસ.ક્રોફા અને કે.સી.સમરિયાને પણ 3-3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત સ્પેશિયલ સીબીઆઈ ભરત પરાશરે અન્ય દોષિત આરોપી એવા વિકાસ મેટલ્સના એમ.ડી.વિકાસ પટણીને અને તેના ભાગીદાર આનંદ મલિકને 4-4 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કંપની પર રૂા.એક લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા આ તમામ દોષિતોને સાત સાત વર્ષની જેલની સજા ફટકારવાની માંગણી કરવામાં આવી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે, આરોપીઓએ જે પ્રકારનો ગુનો કર્યો છે તેના બદલ તેમને ઓછામાં ઓછી એક વર્ષની જેલની સજા અને વધુમાં વધુ સાત વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
આ કૌભાંડથી 1,86,000 કરોડનું નુકશાન થયું હોવાનો દાવો
અત્રે ઉલ્લેખનીય છે કે, એચ.સી.ગુપ્તા યુપીએ સરકારના શાસનમાં કોલસા સચિવ હતા. ગત તા. 30મી નવેમ્બરના રોજ સ્પેશિયલ સીબીઆઈ અદાલતે તેમને દોષિત જાહેર કર્યા હતા. આ મામલા અંતર્ગત કોલસા મંત્રાલય દ્વારા પશ્ચિમ બંગાળમાં કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી.
આ કૌભાંડ અંતર્ગત પ્રવર્તન નિર્દેશાલય (ઈડી-ED) દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ મામલમાં તપાસ એજન્સી દ્વારા પૂર્વ કોલસા સચિવ એચ.સી.ગુપ્તાને પ્રથમ આરોપી બનાવાયા હતા.
આ કેસમાં સીબીઆઈ દ્વારા એ કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, દોષિતોએ તમામ પ્રયાસો કરી લીધા હતા કે, ગવાહ-સાક્ષીઓ કોર્ટ સુધી પહોંચી ન શકે.
રાષ્ટ્રના હિતમાં જોઈએ તો આ કૌભાંડના કારણે દેશને 1,86,000 કરોડનું નુકશાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ કોર્ટે આ મામલામાં 55 એફઆઈઆર નોંધવામાં આવી હતી.