ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને દિવગંત એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાને લઇને તેની પત્ની અપૂર્વા તરફ શંકાની સોય છે. પોલિસ તપાસમાં પ્રાથમિક માહિતી મળી છે કે રોહિતના તેના જ કોઇ સગાસંબંધીઓની પત્ની સાથે લગ્નેતર સંબંધ હતા. આ જ કારણોસર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. લગ્નના શરૂઆતથી જ બન્ને વચ્ચે આંતરિક કલહ થતો હોવાનું રોહિતની માતાએ સ્વીકાર્યું હતું. હાલ તો પોલિસ રોહિતની પત્નીની સઘન પૂછપરછ કરી રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે ગુરુવારે તેના ડિફેન્સ કોલોની સ્થિત નિવાસસ્થાને તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન પત્ની, તેની માતા, ભાઇ, નોકરની આઠ કલાક સુધી પૂછપરછ કરાઇ હતી. જેમાં રોહિતના લગ્નેતર સંબંધ હોવાનો ખુલાસો થયો હતો.
રોહિતના જેની સાથે લગ્નેતર સંબંધ હતા તે મહિલા રોહિતના મૃત્યુ વખતે ઘરમાં જ ઉપસ્થિત હોવાથી પોલિસ તે બાબતની સઘન તપાસ કરી રહી છે. રોહિતના ફોનથી તે રાત્રે 2 થી 4 વાગ્યા વચ્ચે અનેક કોલ્સ થયા હતા. આ કોલ્સ રોહિતના મોતની બાદ થયા હતા. આ કોલ્સ કોઇ સગાંવ્હાલાને અને એક પત્રકારને કરાયો હતો જેને પીક નહોતો કરવામાં આવ્યો. ઓટોપ્સી રિપોર્ટ મુજબ રોહિતની મોત રાત્રે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે થઇ હતી. રિપોર્ટ અનુસાર રોહિતના નાકમાં લોહી જામી ગયું હતું. જેનાથી એવી શંકા ઉપજે છે કે તેના પર કોઇ વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હતો. તેની પીઠ પર પણ જખ્મોના નિશાન મળ્યા છે.