એશિયા કપ-2022ની ફાઇનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થયો હતો. આ મેચ દુબઈ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરી હતી. ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયા સુપર-4 સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. આ દરમિયાન ફાઈનલમાં ભારતીય પ્રશંસકો સાથે ખરાબ વર્તનના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભારતીય જર્સી પહેરેલા લોકોને સ્ટેડિયમમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા.
ભારતીય ક્રિકેટની ચાહક સેના ‘ધ ભારત આર્મી’એ દુબઈ સ્ટેડિયમની બહારથી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં ભારતીય પ્રશંસકો કહી રહ્યા છે કે અમે દુબઈ સ્ટેડિયમની બહાર છીએ, અમે ભારતીય જર્સી પહેરી હતી, તેથી અમને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. શું માત્ર શ્રીલંકા-પાકિસ્તાનના ચાહકોને જ એન્ટ્રી આપવાની હતી?
એક ચાહકે કહ્યું કે પોલીસકર્મીઓ અમને બહાર કાઢી રહ્યાં છે અને એમ કહી રહ્યાં છે ભારતીય આઉટ. અમને કહેવામાં આવ્યું કે જો તમારે અંદર આવવું હોય તો શ્રીલંકન અથવા પાકિસ્તાનની જર્સી પહેરો. જેના પર પ્રશંસકે વીડિયોમાં કહ્યું કે શા માટે આપણે બીજી કોઈ જર્સી પહેરીએ.
😡 SHOCKING TREATMENT as The Bharat Army and other Indian Cricket Fans told they can not enter the stadium wearing ‘India jerseys’! #BharatArmy #PAKvSL pic.twitter.com/5zORYZBcOy
— The Bharat Army (@thebharatarmy) September 11, 2022
ભારતીય સેનાએ ટ્વિટર દ્વારા ICC અને એશિયા ક્રિકેટ કાઉન્સિલને પણ ફરિયાદ કરી છે અને આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી છે. ભારતીય પ્રશંસકો સાથેના આવા વ્યવહારને લઈને સોશિયલ મીડિયા પર લોકોમાં ગુસ્સો છે અને તેની આકરી ટીકા થઈ રહી છે.
નોંધનીય છે કે ભારત આર્મી એ ટીમ ઈન્ડિયાની પ્રખ્યાત ફેન ક્લબ છે, જે વિદેશમાં યોજાનારી ભારતીય ટીમની દરેક મેચમાં પોતાની હાજરી નોંધાવે છે. ઉપરાંત, આ ફેન ક્લબ સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રખ્યાત છે.
એશિયા કપ-2022માં ભારતની સફરની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ સારી રહી હતી, પરંતુ અંત સારો ન રહ્યો. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ-સ્ટેજમાં પાકિસ્તાન, હોંગકોંગને હરાવ્યું હતું, પરંતુ સુપર-4માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિષ્ફળ ગયું હતું.પાકિસ્તાન અને શ્રીલંકાએ ભારતને હરાવ્યું હતું, જેના કારણે ટીમ ઈન્ડિયા ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.