ગાંધીધામ તાલુકાના આદિપુરમાં મોતના માંચડા સમાન ઉભેલી બિલ્ડીંગમાં જર્જરીત મલબો આજે સવારે ૬:૩૦ કલાકે ચોકીદારની ઓરડી પર પડતાં ચીર નિંદ્રામાં પોઢેલી પાંચ વર્ષિય માસૂમ બાળકીએ કાયમ માટે આંખો મીચી લીધી હતી આ અંગે જાણવા મળેલી વિગતો મુજબ આદિપુર વિસ્તારમાં વોર્ડ નંબર ૪/એમાં આવેલા પ્લોટ નંબર ૧૨૮માં ઘનશ્યામ એપાર્ટમેન્ટમાં આ ઘટના બની હતી. અહીં રહેતા નેપાળી પરિવાર મજૂરી અને ચોકીદારી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઘનશ્યામ એપાર્ટમેન્ટની બિલ્ડિંગ પહેલેથી જર્જરીત છે. અવાર નવાર આ મુદ્દે ઢંઢોળવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે આજે આ મોત માંચડો માસૂમ બાળાને ભરખી ગયો હતો.
આજે સવારે સાડા છ વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. ઈમારતના બીજા માળનો જર્જરીત મલબો પહેલા માળે આવ્યો અને પહેલા માળથી આ મલબો નીચે ચોકીદારની ઓરડીના પતરા પર પડ્યો અને નીચે ઓરડીમાં માતા સાથે સુતેલી બે બાળાઓ પર જર્જરીત મલબો પડતાં એકનું ગંભીર ઈજાઓના કારણે તત્કાલ મોત નિપજયું હતું. આ બનાવમાં નંદુ પંકજ શાહી (ઉ.વ. ૫)નું ગંભીર ઈજાઓથી મોત નિપજયું છે. જયારે તેની માતા ૩૬ વર્ષિય નિર્મલાબેનને માથાના ભાગે ઈજાઓ પહોંચતા પ્રથમ આદિપુરની રામબાગ હોસ્પિટલ અને બાદમાં ભુજ લઈ આવ્યા છે.
25 વર્ષ જૂની ઇમારત અંગે પોલીસની તપાસ
આજની આ ઘટના અંગે આદિપુરના પીએસઆઈ પીએસઆઈ હરેશ તિવારી જણાવ્યું હતું કે, આ ઈમારત ૨૫ વર્ષ જૂની છે. જેમાં આજે એક કાટમાળ નીચે દબાઈ જવાથી બાળકીનું મોત થયું છે. કેવા સંજોગોમાં આ ઘટના બની અને કોણ જવાબદાર હોઈ શકે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
કચ્છમાં જોખમી ઇમારતો દૂર કરવા તંત્રની ઊંઘ ઊડતી નથી
ક્ચ્છ જિલ્લામાં અનેક ઇમારતો જર્જરિત અવસ્થામાં છે 2001ના વિનાશક ભૂકંપ બાદ આંચકાઓ સતત આવી રહ્યા છે જોખમી ઇમારતો અંગે તંત્રને જાણ પણ છે પણ કોણ જાણે તંત્રને રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે. ભુજ,અંજાર,આદિપુર,ગાંધીધામ,ભચાઉ,રાપર,સહિતના વિસ્તારમાં જોખમી ઇમારતો મોત સમાન ઉભી છે. કોઈના જીવની કિંમત જ નથી તે એક હકીકત છે.જે જગ્યાએ આવી જોખમી ઇમારતો છે તેને કલેક્ટર દ્વારા સર્વે કરી રીપેરીંગ અથવા જમીનદોસ્ત કરવામાં આવે તે જરૂરી છે.
પરિવારજનોને આર્થિક વળતર આપવું જરૂરી
આજે બનેલી ઘટનામાં હતભાગી બાળકીના પરિવારને તંત્ર દ્વારા આર્થિક વળતર આપવામાં આવે તે જરૂરી છે સાથે સાથે સંસ્થાકીય આગેવાનોએ પણ આગળ આવવું જોઈએ.