જમ્મુ કાશ્મીર,
મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં આર્મીના જવાનને આતંકીઓ દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું ચી તેવા સમાચારે ભારે ચકચાર મચાવી હતી. જોકે સેનાના જવાનને આતંકીઓ દ્વારા અપહરણ કરાયાના સમાચારને રક્ષા મંત્રાલયે રદ્દ કર્યો છે.
રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી છે કે, રજા પર ગયેલા જવાનના અપહરણની વાત એકદમ પાયાવિહોણી છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે, બડગામના ચાડૂપોરા વિસ્તારના કાઝીપોરાથી રજા પર ગયેલા જવાનના અપહરણના મીડિયા અહેવાલ ખોટા છે.
જવાન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અત્રે જણાવવાનું કે આ અંગે શુક્રવારે રાતે એવા અહેવાલો આવ્યાં હતાં કે 27 વર્ષના યાસીનને ચાર અજાણ્યા બંદૂકધારીઓ તેના ઘરેથી ઉઠાવીને લઈ ગયાં.
શુક્રવારે સેનાના જવાનનું અપહરણ થયા બાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટમાં તહેનાત મોહમ્મદ યાસીનના પરિવારે પોલીસને જાણ કરી હતી કે કેટલાક લોકો કાઝીપુરા ચદૂરામાં તેમના ઘરે આવ્યાં અને યાસીનને લઈ ગયાં. યાસીન 15 દિવસની રજાઓ લઈને ઘરે આવ્યો હતો.
આ ઘટના પછી સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ અને સેનાના અધિકારીઓએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે આ કોઈ આતંકી સંગઠનનું કામ હોઈ શકે છે. જો કે તે સમયે સ્પષ્ટ રીતે માહિતી નહતી મળી કે આખરે યાસીનને અપહરણ કરવા પાછળ કયા આતંકી સંગઠન અને આતંકીઓનો હાથ છે.