ગુજરાતના આરોગ્ય સચિવ એવા ડૉ. જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતિ રવિને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. તેઓ 1991 બેંચના સીનિયર IAS અધિકારી અને ગુજરાતના મુખ્ય આરોગ્ય સચિવ જયંતી રવિ રહ્યા હતા .કોરોનાના કપરા કાળમાં તેઓ સતત સ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા હતા. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માટે અરજી કરી હતી જેને કેન્દ્ર દ્વારા 24 મેના રોજ મંજૂર કરવામાં આવી હતી.
જયંતિ રવિ મૂળ ચેન્નાઇ, તમિલનાડુના છે. 17 ઓગસ્ટ,1967માં જન્મેલા જયંતિ રવિ 1991ની બેચના આઇએએસ અધિકારી છે. 15 સપ્ટેમ્બર, 1991ના રોજ તેમણે આઇએએસ તરીકે પોતાનો પદભાર સંભાળ્યો હતો. જયંતિ રવિએ ઇ-ગવર્નન્સમાં પીએચડી કર્યુ છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તે એમએસસી થયા છે. માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન નો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે. લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતી રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે.
સાબરકાંઠાના ટીડીઓ તરીકે જયંતિ રવિએ ગુજરાતમાં કારર્કિદીની શરુઆત કરી હતી. તેઓ પંચમહાલના કલેક્ટર રહી ચુક્યા છે. લેબર કમિશ્નર અને હાયર એજ્યુકેશન કમિશ્નર પણ રહી ચુક્યા છે. તેઓ 3 સપ્ટેમ્બર 2019ના રોજ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અગ્ર સચિવ નિયુક્ત થયા હતા.