ગાંધીનગર
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વાઘજી બોડા સામે વાકપ્રહાર કરતા જણાવ્યુ હતુ કે વાઘજી બોડા કોંગ્રેસના નેતા છે, કોંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડેલા છે. મગન ઝાલાવાડિયા કોંગ્રેસી નેતા અને આગેવાન છે.. કોંગ્રેસના નેતા ઉપવાસના નાટક કરી રાજ્યની જનતાને છેતરી રહ્યા છે.
ગુનેગારો સામે કડક પગલા લેવાશે : નીતિન પટેલ
તો બીજું બાજુ નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલે નીવેદન આપ્યું કે, નાફેડના ચેરમેનનું કામ મગફળીની દેખરેખ રાખવાનું છે. ગુજરાતમાં મગફળી ખરીદવાનું કામ સરકારે શરૂ કર્યુ હતું.
મગફળીનું ખરીદ અને વેચાણએ નાફેડની દેખરેખમાં એટલે કે જવાબદારીમાં આવે. મગફળીની સારસંભાળ રાખવાની જવાબદારી નાફેડની છે.
નીતિન પટેલે આક્ષેપો પર નિવેદન આપતા જણાવ્યું કે, વાઘજીભાઇનું નિવેદન એ આઘાતજનક છે. વાઘજી બોડાએ લગાવેલાં આક્ષેપો ખોટા છે. વાઘજીભાઈએ અત્યાર સુધી કોઈ જ ફરિયાદ કરી નથી.
હોટેલ ન્યારી પેલેસ સીલ
જેતપુરના પેઢલા ગામના ચકચારી મગફળી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ગણાતા મગન ઝાલાવાડિયાની જામનગર રોડ પર આવેલી હોટેલ ન્યારી પેલેસને ગઈકાલે મંગળવારે રાત્રે પ્રાંત અધિકારી (રાજકોટ ગ્રામ્ય) પ્રજ્ઞેશ જાની દ્વારા સીલ કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની સૂચના મુજબ ગઈકાલે મંગળવારે રાત્રે રેવન્યુ વિભાગની ટીમ ન્યારી પેલેસ ખાતે ત્રાટકી હતી. ખેતીલાયક જમીનમાં બિનખેતી કરાવ્યા વગર ખડકી દેવામાં આવેલી કરોડો રૂપિયાની કિંમતની હોટેલ ન્યારી પેલેસ સીલ કરવામાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.