પટના,
બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ મામલે સામે આવેલા ચોકાવનારા ખુલાસા બાદ દેશભરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. શેલ્ટર હોમના કથિત યૌન શોષણનો મામલો સંસદમાં પહોચ્યા બાદ સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ત્યારે હવે વિપક્ષી પાર્ટીઓના સતત દબાણ વચ્ચે રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માએ રાજીનામું આપ્યું છે.
આ મામલાની તપાસ કરી રહેલી CBI દ્વારા અંદેશો લગાવવામાં આવી રહ્યો છે કે, શેલ્ટર હોમ મુદ્દાની આંચ મંજૂ વર્માના પતિ ચંદ્રેશ્વર વર્મા સુધી પણ પહોચી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદ્રેશ્વર વર્માના આ મામલાના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુર સાથે કથિત સંબંધ હોવાના આરોપ છે.
આ પહેલા મંજૂ વર્માના રાજીનામાંના સવાલ પર CM નીતિશ કુમારે જણાવ્યું, “મંત્રીને તેઓને મળીને સ્પષ્ટતા કરી છે અને કોઈ પણ કારણ વગર કેવી રીતે જવાબદાર ઠેરવવામાં આવી શકે છે.
ચાર્જસીટમાં થયા હતા ચોકાવનારા ખુલાસા
મહત્વનું છે કે, કોર્ટમાં પોલીસ દ્વારા રજુ કરાયેલી ૧૬ પાનાંની ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, આ શેલ્ટર હોમમાં એક ઓરડો હતો, જે ઓપરેશન થિયેટર તરીકે કામ કરતુ હતું. આ બાલિકાગૃહમાં રહેનારી છોકરીઓ સાથે યૌન શોષણ પછી ગર્ભવતી હોવાની સ્થિતિમાં જબરદસ્તીથી આ થિયેટરમાં ગર્ભપાત કરવામાં આવતું હતું.
આ ઉપરાંત ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, શેલ્ટર હોમમાં તેઓને ૬૭ પ્રકારની નશીલી દવાઓ અને ઈન્જેકશન પણ મળ્યા છે. આ તમામ દવાઓ અને ઈન્જેકશનનો ઉપયોગ છોકરીઓને બેહોશ કરવા માટે થતો હતો અને બાદમાં તેઓ સાથે બળાત્કાર કરવામાં આવતો હતો.
આ ઘટના ક્યારે સામે આવી ?
આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઈન્સની ટીમે આ શેલ્ટર હોમનું સોશિયલ ઓડીટ કર્યું હતું. જેમાં કુલ ૪૨ છોકરીઓના મેડીકલ રિપોર્ટમાંથી ૩૪ છોકરીઓના રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થઇ હતી.
આ દરમિયાન પીડિતાએ પોલીસને કહ્યું હતું કે, એમની એક સાથીની હત્યા કરીને એના મૃતદેહને હોસ્ટેલ પરિસરમાં જ દાટી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું પણ હજી સુધી ખોદકામમાં એવું કઈ મળ્યું ન હતું.