Koteshwar Gurukul Ramkrishna Swami Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં અમદાવાદના કોટેશ્વર ગુરુકુળનો વહીવટ સંભાળતા સ્વામી રામકૃષ્ણ એક મહિલા સાથે હોટલમાં જોવા મળતા ધર્મપ્રેમી જનતા અને હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે.
Koteshwar Gurukulના સ્વામી મહિલા સાથે ઝડપાયા
મળતી માહિતી મુજબ, કોટેશ્વર ગુરુકુળના મુખ્ય હોદ્દા પર બિરાજમાન સ્વામી રામકૃષ્ણ એક મહિલા સાથે હોટલમાં હોવાની વિગતો અને પુરાવા સામે આવ્યા હતા. આ ઘટનાના પડઘા પડતા જ ભક્તોમાં ખળભળાટ મચી ગયો હતો. સંપ્રદાયની મર્યાદા અને સાધુતાના નિયમોનું ઉલ્લંઘન થતા કાલુપુર મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા.
કાલુપુર મંદિર દ્વારા બરતરફીની કાર્યવાહી
આ મામલે વિવાદ વધતા કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. મંદિરના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાની સત્યતા સામે આવતા જ રામકૃષ્ણ સ્વામીને તેમના પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. મંદિર તંત્રએ દાવો કર્યો છે કે સ્વામીએ પોતાની સ્વેચ્છાએ જ સાધુતા અને ધર્મનો ત્યાગ કર્યો છે. અત્યારે એવું પણ જાણવા મળ્યું છે કે તેમણે ભગવા વસ્ત્રો ત્યજીને સાંસારિક જીવન અપનાવી લીધું છે.
રહસ્યમય મૌન અને ઉઠતા સવાલો
એક તરફ મંદિર તંત્ર સફાઈ આપી રહ્યું છે, તો બીજી તરફ એવી પણ ચર્ચાઓ તેજ થઈ છે કે આ મામલાને ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જ્યારે મીડિયા દ્વારા આ અંગે વધુ વિગતો જાણવા માટે મંદિરના હોદ્દેદારોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો, ત્યારે મોટાભાગના અધિકારીઓના ફોન સ્વીચ ઓફ જોવા મળ્યા હતા. આ રહસ્યમય મૌન અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.
આ પણ વાંચો:મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો:કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રનો આક્ષેપ, કહ્યું પત્ની સંપૂર્ણ સ્ત્રી નથી
આ પણ વાંચો:કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ માધવ પ્રિયદાસ પરીણિતાને ભગાડી ગયા હતા
