આર્સેલર મિત્તલ કંપનીના ચેરમેન-સીઈઓ લક્ષ્મી મિત્તલ શનિવારે કેવડિયા જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવ્યા ત્યારે તેમને મળ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગવર્નર દેવવ્રત આચાર્ય તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ એ વખતે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ આવ્યા હતા. ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે એરપોર્ટ ઉપર પીએમ મોદી સાથે ચર્ચા વિચારણા કરી હતી. બાદમાં લક્ષ્મી મિત્તલ વિધાનસભા સંકુલ ખાતે આવ્યા હતા અને એમણે પહેલા મુખ્યમંત્રીની અને બાદમાં નાયબ મુખ્યમંત્રીની ચેમ્બર્સમાં જઈ સંવાદ કર્યો હતો.
લક્ષ્મી મિત્તલ કેવડિયા કોલોની ખાતે આવ્યા અને મોદી સાથેની ચર્ચા બાદ ગુજરાતમાં રોકાણ અંગે વાતો વહેતી થઇ હતી. પરંતુ હવે CM વિજય રૂપાણીએ આ બેઠક અંગે જણાવ્યું છે કે, મિત્તલ કાલે મને મળવા આવ્યા હતા. ત્યારબાદ તેમણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતમાં આર્સેલર મિત્તલ કંપનીના ચેરમેન-સીઈઓ લક્ષ્મી મિત્તલ રૂપિયા 50 હજાર કરોડથી વધુનું રોકાણ કરશે. ઉદ્યોગ સ્થાપવા માટે ગુજરાત બેસ્ટ લોકેશન છે, ત્યારે તે સંદર્ભે તેમની સાથે ચર્ચા વિચારણા થઈ હતી. સીએમે ઉમેર્યું હતું કે ગુજરાત વિકાસની દ્રષ્ટિએ હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે તમામ ઉદ્યોગપતિઓ અહીં આવી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જણાવ્યું હતું કે, ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ મને મળવા આવ્યા હતા અને એમણે ગુજરાત વિશે જનરલ ચર્ચા કરી હતી. એસ્સારની જૂની જેટી અંગે કે રાજ્ય સરકારના બાકી લેણાં વિશે કોઈ ચર્ચા ના થઈ હોવાનું પૃચ્છાના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. હજીરામાં એસ્સાર જૂથની કંપની એસ્સાર સ્ટીલ ટેકઓવર કરનારી આર્સેલર મિત્તલને હસ્તાંતરણ દરમિયાન જેટી સોંપાઈ ના હોઈ તે અંગે વિવાદ ચાલી રહ્યો છે, તદઉપરાંત આર્સેલર મિત્તલ કંપની પાસેથી રાજ્ય સરકારે લેણાં વસૂલવાના બાકી છે.