રાજકોટમાં બહુચર્ચિત બનેલા શિવમ પાર્કમાં રહેતા કમલેશભાઈ લાબડિયા પરીવારને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા પાછળ એડવોકેટનું મૃતકનું મકાન પચાવી પાડવા માટે સમજી વિચારીને કરવામાં આવેલું ષડયંત્ર હતું. કર્મકાંડી આધેડનું મકાન પચાવી પાડવા માટે એડવોકેટ અને કારખાનેદારે ષડયંત્ર રચી આધેડને ફસાવતા આધેડે પોતાના બે સંતાનની હત્યા કરી પોતે આપઘાત કરી લીધો હતો, આ મામલામાં પોલીસે કારખાનેદારને ઝડપી લઇ રિમાન્ડ પર લીધો હતો. જ્યારે અન્ય એક આરોપી એડવોકેટ હાથ નહીં આવતા તેના પરિવારજનોની પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે કમલેશભાઇના ભાઇ તેમજ કમલેશભાઈ ના પત્નીની ફરિયાદ પરથી તાલુકા પોલીસે કારખાનેદાર અને એડવોકેટ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે કારખાનેદારને ઝડપી લઇ મંગળવાર સુધી લોકઅપમાં લીધો છે, જ્યારે એડવોકેટ વોરા હાથ નહીં આવતા તેની ભાળ મેળવવા પોલીસે એડવોકેટના પરિવારજનોની ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી હતી, બીજીબાજુ રિમાન્ડ પર રહેલા દિલીપ કોરાટે પોતે મકાનની તમામ રકમ કમલેશભાઇને ચૂકવી દીધાનું રટણ કર્યું હતું, જોકે કમલેશભાઇને રકમ ચૂકવ્યા અંગેનો એકપણ પુરાવો પોલીસને આપી શક્યો નહોતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાનામવા રોડ પરના શિવમપાર્કમાં રહેતા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડિયા નામના આધેડે તેમનું મકાન રૂ.1.20 કરોડમાં વેચવાનો કારખાનેદાર દિલીપ કોરાટ સાથે સોદો કર્યો હતો, દિલીપ અને તેના એડવોકેટ આર.ડી.વોરાએ રૂ.20 લાખ આપ્યા હતા અને બાકીની રકમની કમલેશભાઇએ ઉઘરાણી કરતાં તમામ રકમ ચૂકવી દીધાનું કહી રૂ.65 લાખની કમલેશભાઇએ છેતરપિંડી કર્યાની અરજી કરી હતી, પોતાની સાથે છેતરપિંડી થતાં કમલેશભાઇએ પોતાના યુવાન પુત્ર પુત્રીને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતાર્યા હતા અને પોતે પણ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.