Rajkot News : GST વિભાગ દ્વારા રાજકોટમાં ભક્તિનગર સર્કલ નજીક ઓમ રેસ્ટોરન્ટમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં દરોડા દરમિયાન દારૂની બોટલો મળી આવી હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન GST વિભાગના અધિકારીઓને માર મારવામાં આવ્યો છે. સમગ્ર રાત્રિ દરમિયાન દરોડાની કામગીરી કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસ દ્વારા દારૂ મળી આવતા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ માર મારવા મામલે અરજીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, GST અધિકારી અંકિતકુમારે શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના ડિપાર્ટમેન્ટ દ્વારા ભક્તિનગર સર્કલ પાસે આવેલા ઓમ રેસ્ટોરન્ટમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રેસ્ટોરન્ટમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જેથી આ માહિતીને આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ તથા ટીમ દ્વારા ઓમ રેસ્ટરોન્ટ પહોંચી હતી.
અંકિતકુમારે ઓમ રેસ્ટોરન્ટમાં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની ચાર બોટલ હોવાનું જણાવ્યું હતું. તેમજ ઓમ રેસ્ટોરન્ટમાં GST રેડની કાર્યવાહી કરવામાં આવી ત્યારે રેસ્ટોરન્ટના માલિક વલ્લભ જીવરાજ તારપરા બોલાચાલી કરી જતા રહ્યા હતા. રેસ્ટોરન્ટના માલિક વલ્લભ જીવરાજ તારપરા સામે ગુનો નોંધી ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.
