નવી દિલ્હી,
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 16મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 6 ઉમેદવારોના નામ સામેલ છે. મૂંબઇ ઉત્તર-પૂર્વથી કિરીટ સોમૈયાનું પત્તુ કપાતાં મનોજ કોટકને ટિકિટ આપવામાં આવી છે. રાયબરેલીમાં સોનિયા ગાંધી વિરુદ્વ દિનેશ પ્રતાપ સિંહ મેદાનમાં ઉતરશે. આઝમગઢથી દિનેશ લાલ યાદવ નિરહુઆને ટિકિટ અપાઇ છે. ફિરોઝાબાદથી ચંદ્ર સિંહ જાદૌન, મૈનપુરીથી પ્રેમ સિંહ શાક્ય તેમજ મછુલીશહરથી વીપી સરોજને ઉમેદવાર જાહેર કરાયા છે.
જણાવી દઇએ કે નિરહુઆ કેટલાક દિવસ પહેલા જ યુપીના સીએમ યોગી આદિત્યનાથની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા હતા. ત્યારથી જ તેને આઝમગઢથી ટિકિટ અપાય તે ચર્ચાએ જોર પકડ્યુ હતું. અહીંયા તેની સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે ટક્કર થશે.
બીજી તરફ, આ સૂચિમાં કિરીટ સૌમેયાનું નામ સામેલ ના હોવાથી બધા જ ચોંકી ગયા છે. શિવ સેનાએ સોમૈયાના નામ પર વિરોધનો સુર વ્યક્ત કર્યો હતો. તેઓ હાલમાં મુંબઇ ઉત્તર-પૂર્વથી સાંસદ છે. તેની પ્રામાણિક અને નિષ્ઠાવાન છબી હોવાની સાથોસાથ સંસદમાં અનેક ગંભીર મુદ્દાઓ રજૂ કરવામાં તેઓ આગળ રહ્યા છે. તેમ છતાં તેને ટિકિટ ના અપાતા રાજકારણમાં તે મહત્વનો ચર્ચાનો વિષય બન્યો છે.