રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA ) ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર, એન્ટિલિયાની બહાર મળી આવેલા જિલેટીનથી ભરેલી સ્કોર્પિયોના કથિત માલિક મનસુખ હિરેનની શંકાસ્પદ મૃત્યુના કેસમાં તપાસ કરી રહી છે. એનઆઈએની ટીમે રવિવારે તપાસના સંબંધમાં આ કેસના આરોપી સસ્પેન્ડ મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત મીઠી નદી પુલ નજીક લાવી હતી. આ સમય દરમિયાન, ડાઇવર્સએ નદીમાંથી કમ્પ્યુટર સીપીયુ, વાહન નંબર પ્લેટ અને અન્ય મહત્વપૂર્ણ સંકેતો મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, એન્ટિલિયા કેસમાં સતત નવા વળાંકો આવી રહ્યા છે. મુકેશ અંબાણીના ઘર, એન્ટિલિયાની બહાર મળી આવેલા જિલેટીનથી ભરેલી સ્કોર્પિયોના માલિક તરીકે થાણેના ઉદ્યોગપતિ મનસુખ હિરેન ઓળખ થઇ હતી. અને ત્યાર બાદ મનસુખ હિરેનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં પોલીસે સચિન વાજે નામના પોલીસ અધિકારીની ધરપકડ કરી હતી.
આ કેસ મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ નવા વળાંકો લાવી શકે છે. શિવસેનાના મુખપત્ર સામનામાં એન્ટીલીયા કેસમાં સસ્પેન્ડ થયેલા પોલીસ અધિકારી સચિન વાજે અને ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વચ્ચેના સંબંધો અંગે સવાલો ઉઠાવ્યા બાદ એનસીપીએ સંજય રાઉતને સલાહ આપી છે કે આ મામલામાં બળતામાં ઘી હોમવાનું કામ ના કરે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી નેતા અજિત પવારે કહ્યું કે, ત્રણ પક્ષની મિશ્ર સરકાર છે, તો આ પક્ષ સાથે જોડાયેલા લોકોએ એકબીજા પર નિવેદનો આપીને સમસ્યા વધારવાનું કામ ન કરવું જોઈએ.
બીજી તરફ, એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન નવાબ મલિકે સામનાના લેખનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અનિલ દેશમુખ ‘આકસ્મિક’ ગૃહ પ્રધાન નથી. સંપાદકને લેખ લખવાનો અધિકાર છે. શરદ પવારે તેમને વિચારીને જ જવાબદારી સોંપી છે. તે ‘આકસ્મિક’ ગૃહ પ્રધાન નથી. જો ગૃહ પ્રધાનમાં કેટલીક ખામીઓ છે, તો તે તેને દૂર કરવા માટે કામ કરશે.