મહારાષ્ટ્રમાં શનિવારથી એટલે કે 2 એપ્રિલથી માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે નહીં. કોવિડના કેસમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તમામ કોવિડ-19 પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રિ અને હિંદુ નવું વર્ષ ગુડી પડવો 2 એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવશે પરંતુ તે હવે ફરજિયાત રહેશે નહીં. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાર્યાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને કહ્યું, “ગુડી પડવા શરૂ થતાં જ મહારાષ્ટ્રમાં તમામ કોવિડ પ્રતિબંધો હટાવવામાં આવશે.
રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પત્રકારોને જણાવ્યું હતું કે સીએમ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કોવિડ પ્રતિબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, ‘ગુડી પડવાથી, રોગચાળાના રોગો અધિનિયમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળના તમામ કોવિડ-19 સંબંધિત પ્રતિબંધો પાછા ખેંચી લેવામાં આવશે.’