મોન્સીન દલ-મંતવ્ય ન્યુઝ
સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ કરાવવામાં આવ્યો છે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે દેશના તમામ નાગરિકોને સુરક્ષિત કરવા માટે દેશના પ્રધાનમંત્રી દ્વારા કોરોના રસીકરણના મહાઅભિયાનનું આહવાન કરવામાં આવ્યું હતું.જેને લઇને સમગ્ર રાજ્યમાં વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં વેક્સિનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો ત્યારે જિલ્લાના હાલોલ શહેરમાં આવેલ વી.એમ.હાઈસ્કુલ ખાતેથી આજરોજ તાલુકા કક્ષાના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
રાજય કક્ષાના મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા હાલોલ તાલુકાનાં વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.વી.એમ.હાઈસ્કુલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ રસીકરણને લગતી પાંચ મિનિટની ફિલ્મ રજૂ કરવામાં આવી હતી.બાદમાં મંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરાવવામાં આવ્યું હતું, વેક્સિન લેવાપાત્ર લાભાર્થીઓને વેક્સિન આપ્યા બાદ આ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું હતું
હાલોલ તાલુકા માં આવેલા ૭ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ તેમાં સમાવિષ્ટ ૪૩ જેટલા સબસેન્ટરમાં વેક્સિન લેવાપાત્ર વ્યક્તિઓની સંખ્યા ૧,૫૨,૦૯૯ છે, જે પૈકી ૨૮૮૪૯ વ્યક્તિઓને વેક્સિન આપવામાં આવી છે.જ્યારે બાકી રહેતાં ૧,૨૩,૨૫૦ વ્યક્તિઓને રસીકરણ મહા અભિયાન હેઠળ આવરી લઈ કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે.હાલોલ તાલુકા કક્ષાના રસીકરણ મહા અભિયાન પ્રારંભ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી રાઠોડ, હાલોલ નગરપાલિકા પ્રમુખ વિભાક્ષીબેન દેસાઈ, પાલિકા ચીફઓફિસર વિરાજ શાહ, હાલોલ પ્રાંત અધિકારી એ.કે.ગૌતમ, હાલોલ મામલતદાર, જિલ્લા મેડિકલ ઓફીસર ડો.બી.કે. પટેલ, હાલોલ તાલુકા આરોગ્ય અધિકારી નયન જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.