મોરબીમાં હિન્દુ અને મુસ્લિમોના એકી સાથે આવી રહેલા તહેવારો આવતા હોય કોમી એખલાસ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે મોરબી શહેર એ ડીવીઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી હતી.
જેમાં પી.આઈ. આર.જે ચૌધરી, પી.એસ.આઇ પટેલ તેમજ મુસ્લિમ અગ્રણી શહેર ખતીબ રસીદમિયા બાપુ, શિવસેનાના પ્રમુખ કે.બી બોરીચા, દિગુભા ઝાલા, ગણેશ ઉત્સવ તરફથી અરવિંદભાઈ બારૈયા તેમજ 11 તાજીયાનાં સંચાલકો, જુદાજુદા વિસ્તારોમાં થી ગણેશ ઉત્સવનાં સંચાલકો, નગરપાલિકા તરફથી સંગ્રામ સિંહ જાડેજા સહિત હિંદુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં જુદા જુદા વિસ્તારમાંથી નીકળતા તાજીયાઓના રૂટમાં તાજીયા નીકળી જાય તેવી વ્યવસ્થા રાખવા અને વર્ષોની પરંપરા જાળવી રાખી છે તેવા ભાઈચારો અને કોમી એખલાસ જળવાઈ રહે તેવી રીતે આ તહેવાર ઉજવાય તેવી ચર્ચા થઈ હતી અને આશા વ્યક્ત કરી હતી.
જ્યારે શહેર ખતિબ રસીદમિયા બાપુએ શક્તિ ચોકમાં કોમી એખલાસની વાત કરતા જણાવ્યું હતું કે એક સમયે નવરાત્રી અને મોહરમ એક વરસમાં સાથે આવ્યા હતા. બન્ને ના તહેવાર શાંતિ થી ઉજવાય તે માટે બંન્ને એ સમયમાં થોડો ફેરફાર કર્યો હતો આવી સહકારની ભાવના સાથે તહેવારો ઉજવાય તેવી આશા વ્યક્ત કરી હતી અને તમામને શીખ આપી હતી.