ગાંધીનગર ના સામાજિક કાર્યકર એસ.કે.રાણા એ લખ્યો મુખ્યમંત્રી ને પત્ર
ગાંધીનગર ના કબ્રસ્તાન માં દફનવિધિ માટે ની જગ્યા ખૂટી પડતા લખ્યો પત્ર
હાલ ના કબ્રસ્તાન માં જગ્યા ખૂટી પડતા વધુ જમીન ફાળવવા પત્ર માં ઉલ્લેખ
ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે. રાજ્યના વિવિધ જીલ્લામાં ટેસ્ટીંગ કીટ, દવાઓ, ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત મોટાભાગે સામે આવી રહી છે. ત્યારે હિન્દુ સ્મશાન માં પણ અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે. કેટલાક સ્થળે અગ્નિસંસ્કાર દરમિયાન ચીમનીમાંથી તણખા ઉડવા, પ્લેટો તૂટવી, લાકડા ખૂટવા જેવા સમાચારો સામે આવી રહ્યા છે,
ત્યારે હવે કબ્રસ્તાનમાં પણ દફનવિધિ માટે જગ્યા ખૂટવા અહેવાલો સામે આવી રહ્યા છે. ગાંધીનગરના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જગ્યા ખૂટી પડી છે. ગાંધીનગર ના સામાજિક કાર્યકર એસ.કે રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી આ અંગે જાણ કરી છે. અને તેમણે લખ્યું છે કે હાલના કબ્રસ્તાનમાં જગ્યા ખૂટી પડતા વધુ જમીન ફાળવવા વિનંતી પણ કરી છે.
વધુમાં એસ.કે રાણાએ લખ્યું છે કે કોરોનાની મહામારી માં લોકો મોટી સંખ્યામાં મરણ પામી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના મુસ્લિમ સમાજના લોકો માટે દફનવિધિ એ કપરી પરિસ્થિતિ બની રહી છે. કોરોના માં મરણ પામેલા લોકોને અન્ય જગ્યાએ લઇ જવાની પરવાનગી પણ મળતી નથી. તો આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કબ્રસ્તાન માટે વધુ જમીન ફાળવવા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ભૂતકાળમાં પણ એસ.કે રાણા રજુઆત કરી ચુકયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે. રાજ્યમાં સતત કોરોના સંક્રમિતોનો આંક હરણફાળ ગતિએ વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલા દિવસોથી 10000 પ્લસ કોરોના નવા કેસો સામે આવી રહ્યા છે. તો રાજ્યમાં કોઈ સંક્રમિતોનો પણ સાડા ચાર લાખ ઉપર પહોંચી ચૂક્યો છે. ગુજરાતમાં અત્યારે જનતા ખાટલા બાટલા અને લાકડા માટે પ્રતીક્ષા કરી રહી છે.