મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ રામ નવમી નિમિત્તે શિવસેના ભવનની બહાર લાઉડસ્પીકર વડે હનુમાન ચાલીસાનું પાઠ વગાડ્યું હતું. જોકે, થોડા સમય બાદ પોલીસ શિવસેના ભવન પહોંચી હતી અને તેને બંધ કરાવ્યું હતું.
પોલીસે તે વાહન પણ જપ્ત કર્યું હતું કે જેના પર લાઉડ સ્પીકર વડે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવી રહ્યું હતું. આ સાથે જ પોલીસે MNS નેતા યશવંત કિલેકરને કસ્ટડીમાં લીધા અને શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન ગઈ.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ MNS કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે રાજ ઠાકરેએ મહારાષ્ટ્રની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી હતી. રાજ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો પોલીસ અને વહીવટીતંત્ર જલ્દીથી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવશે નહીં તો તેઓ મસ્જિદોની સામે મોટેથી હનુમાન ચાલીસા વગાડશે.
ચેતવણી આપ્યા બાદ રાજ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે, “હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. દરેક ધર્મને પ્રાર્થના કરવાનો અધિકાર છે, પરંતુ મને મારા ધર્મ પર ગર્વ છે. તેથી એ ધ્યાનમાં રાખવું જોઈએ કે બીજાને હેરાન ન કરો. રાજ ઠાકરેના આ નિવેદન બાદ મનસેના કાર્યકરો જગ્યાએ જગ્યાએ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ વગાડી રહ્યા છે. આ પહેલા કુર્લા અને ઘાટકોપરમાં MNS કાર્યકર્તાઓએ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ પોલીસે તેના પર કાર્યવાહી કરી અને કાર્યકરોને નોટિસ ફટકારી હતી.