જયપુર,
રાજસ્થાનમાં શુક્રવારના રોજ સમાપ્ત થયેલા મતદાન બાદ હવે તમામની નજર ૧૧ ડિસેમ્બરના રોજ આવનારા રિઝલ્ટ પર છે. જો કે આ પહેલા સામે આવેલા એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં સરકાર બનાવવાને લઈ વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
બીજી બાજુ રાજસ્થાન કોંગ્રેસમાં ચુંટણીના પરિણામ પહેલા જ મુખ્યમંત્રી બનવા માટેની રેસ શરુ થઇ ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નતો સચિન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે પરિણામો આવતા પહેલા CM બનવા માટેની આ હોડ જામી છે.
હકીકતમાં, વોટિંગ બાદ સામે એક્ઝિટ પોલ મુજબ, કોંગ્રસ પાર્ટી રાજસ્થાનમાં પોતાની સરકાર બનાવવા માટે જઈ રહી છે. જો કે આ દરમિયાન જયપુર શહેર અને જિલ્લાના અધ્યક્ષ પ્રતાપ સિંહે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને લઈ આપેલા વિવાદિત નિવેદન બાદ પ્રદેશની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.
શનિવારે તેઓએ કહ્યું હતું કે, “અમારા નેતા રાહુલ ગાંધી છે, તેઓ જે કહેશે એ જ નિર્ણય અમને મંજૂર હશે. હું એ સમાચાર પત્રોમાં વાંચ્યું હતું કે ગેહલોત સાહેબ દ્વારા મુખ્યમંત્રી પદ માટે પાંચ લોકોના નામ આપ્યા છે. તેઓ અમારા સિનીયર નેતા છે, હું તેઓનું સન્માન કરું છે. પરંતુ મુખ્યમંત્રી અંગેનો નિર્ણય તેઓ કરી શકતા નથી”.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાચરિયાવાસ એ સચિન પાયલોટ નજીકના નેતા માનવામાં આવે છે. આ પહેલા તેઓ વસુંધરા રાજે વિરુધ રાજ્યમાં કરવામાં આવેલા ઘણા આંદોલનમાં પાયલોટ સાથે ઉભા રહેલા જોવા મળ્યા છે.