ભુવનેશ્વર,
ઓડિશામાં મહાનદીમાં યાત્રીઓ ભરેલી એક બસ નદીમાં ખાબકી હોવાની એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યારસુધીમાં ૧૨ લોકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, તાલચરથી કટક જઈ રહેલી એક પ્રાઈવેટ બસ મહાનદી પર બનેલા બ્રિજની રેલિંગ તોડીને ૩૦ ફૂટ ઉંડી નદીમાં ખાબકી હતી.
આ ઘટનાના એક સાક્ષીએ પોલીસને કહ્યું હતું કે, એક ભેસના સામે આવી હતી અને આ દરમિયાન ડ્રાઈવરે આ ભેંસને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ડ્રાઈવર બસના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી ચુક્યો હતો. આ કારણે બસ નદીમાં ખાબકી હતી.
સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. કટકથી પોલીસકર્મીઓ તેમજ રાજ્યની ડિજાસ્ટર ટીમના કર્મીઓ પણ ઘટનાસ્થળે પહોચી ચુક્યા છે.
બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને સ્થાનિક પ્રશાસનના અધિકારીઓને રાહત અને બચાવ કાર્ય ઝડપી કરવા માટે આદેશ આપ્યો છે.