ઓરૈયા,
છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી કામકાજમાં ઘણી એવી લાપરવાહીની ફરિયાદો સામે આવતી હોય છે, પરંતુ દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં એક એવી લાપરવાહી સામે આવી છે તે જોઇને તમામ લોકો અચંબામાં મુકાઈ શકે છે.
ઉત્તરપ્રદેશના ઓરૈયા જિલ્લામાં ૨૦૦૮માં મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં જીવિત પકડી પાડવામાં આવેલા આતંકવાદી અજમલ કસાબના રહેઠાણનું પ્રમાણપત્ર બનાવી દેવામાં આવ્યું છે.
આ ઘટના બાદ ઉત્તરપ્રદેશમાં સરકારી કામકાજ અંગે અનેક સવાલો ઉભા થઇ ગયા છે. બીજી બાજુ આ પ્રમાણપત્ર જોઈ એક સમયે અધિકારીઓ પણ હેરાન થઇ ગયા હતા.
હકીકતમાં, ઓરૈયા જિલ્લાના બિધુના વિસ્તારમાં જાહેર કરાયેલા રેસિડેન્શિયલ સર્ટિફિકેટમાં આતંકી કસાબનું જન્મસ્થળ બિધૂના દર્શાવવામાં આવ્યું છે.
આટલું જ નહિ, ૨૧ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ બનેલા આ પ્રમાણપત્રનો રજીસ્ટ્રેશન નંબર ૧૮૧૬૨૦૦૨૦૦૬૦૭૭૨૨ આપવામાં આવ્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે, ૨૧ ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કસાબનો ફોટો લગાવીને આવેદન કર્યું હતું. આના આધારે જ લેખપાલની રિપોર્ટ લગાવ્યા બાદ SDM દ્વારા આ સર્ટિફિકેટ જાહેર કરવામાં આવ્યું હતું.
જો કે, આ સર્ટિફિકેટની સૌથી મોટી વાત એ હતી કે, આ આવેદનમાં કસાબના પિતાના સ્થાન પર મો. આમિર તેમજ માંના સ્થાને મુમતાજ બેગમ લખ્યું હતું.