નવી દિલ્હી,
અયોધ્યાની વિવાદિત જમીન અંગે ચાલી રહેલા ધમાસાણને લઈ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટની લખનઉ બેંચ દ્વારા આ વિવાદિત જમીન પર નમાજ અદા કરવા માટે પરમીશન આપવાને લઇ કરાયેલી પીટીશનને ફગાવી દેવામાં આવી છે.
આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા આ પીટીશન કરનારા સંગઠન અલ-રહેમાન વિરુધ પણ પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સખ્ત ફટકાર પણ લગાવવામાં આવી છે.
કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારની પીટીશન અદાલતનો સમય બર્બાદ કરવા અને સમાજમાં નફરતનો માહોલ ફેલાવવા માટે કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અલ-રહેમાન સંગઠન ઉત્તરપ્રદેશના રાયબરેલીના એડ્રેસ પર રજીસ્ટર છે અને તે ઇસ્લામનો પ્રચાર પ્રસાર કરે છે. આ જ સંગઠન દ્વારા અયોધ્યામાં વિવાદિત જમીન પર નમાજ અદા કરવા માટે પીટીશન કરી હતી.
જો કે આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની ત્રણ જજોની બેંચ દ્વારા ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ ૨:૧ના બહુમતથી પોતાનો નિર્ણય આપતા કહ્યું હતું કે, ૨.૭૭ એકરની વિવાદિત જમીનને ત્રણ પક્ષો સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનને બરાબર વહેચવામાં આવે.