ભોપાલ,
મધ્યપ્રદેશમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૧૫ વર્ષના એકચક્રી શાસનનો અંત કરીને કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. સોમવારે MPના મુખ્યમંત્રી તરીકે પાર્ટીના દિગ્ગજ નેતા કમલનાથ શપથ લેવાના છે.
જો કે કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનવાની સાથે જ હવે તેઓ દ્વારા ખેડૂતોની લોનમાફીને લઈ આપવામાં આવેલા વચનને નિભાવશે કે નઈ તે અંગે અનેક અટકળો છે.
મળતી માહિતી મુજબ, કમલનાથ શપથગ્રહણ સમારોહ બાદ ખેડૂતોની લોનમાફી અને બેરોજગારોને મોંઘવારી ભથ્થું આપવાને લઈ એલાન કરી શકે છે. આ માટે એક ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવી ચુક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસાર દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોની લોનમાફી સહિતના મુદ્દાઓ લઈને જ ભાજપને ઘેર્યું હતું.
મધ્યપ્રદેશના આગામી કેપ્ટન કમલનાથના ખેડૂતોની લોનમાફીના ફોર્મુલા પર જોવામાં આવે તો, આ ફોર્મુલા હેઠળ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો રાજ્યના ૪૦ લાખ ખેડૂતોને મળશે.