કલકત્તા,
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવેલી રથયાત્રાને લઈ વાર-પલટવારનો દોર ચાલી રહ્યો છે, ત્યારે હવે આ મામલે શનિવારે ભારતીય ભાજપ દ્વારા હવે કલકત્તા હાઈકોર્ટના આદેશને દેશની સર્વોચ્ચ અદાલતમાં પડકારવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા હવે હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચમાં પડકારવામાં આવશે.
આ પહેલા શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલી દલીલ બાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ દ્વારા ભાજપની રથયાત્રા પર રોક લગાવાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આયોજિત કરાઈ રહેલી રથયાત્રાને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ ગુરુવારે કલકત્તા હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના નિર્ણયને પલટતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત થનારી રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી હતી.
હાઈકોર્ટની સિંગલ બેંચ દ્વારા ભાજપની રથયાત્રા પર રોક લગાવાઈ હતી અને ૧૪ ડિસેમ્બર સુધી સરકારને રિપોર્ટ જમા કરાવવા માટે આદેશ આપ્યો હતો. સાથે સાથે સ્થાનિક પ્રશાસનને આ યાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે આદેશ આપ્યા હતા.
ભાજપ દ્વારા આ રથયાત્રાને “ગણતંત્ર બચાવો યાત્રા”નું નામ આપવામાં આવ્યું છે અને તેની પહેલી યાત્રા ૨૨ ડિસેમ્બરથી કૂચબિહાર જિલ્લાથી, બીજી યાત્રા ૨૪ ડિસેમ્બરથી ૨૪ પરગના અને ત્રીજી યાત્રા ૨૬ ડિસેમ્બરથી વીરભૂમિના તારાપીઠથી નીકળવાની છે