નવી દિલ્હી,
છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર ચાલી રહેલા ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પરિકરને એર એમ્બ્યુલન્સ દ્વારા રાજધાની દિલ્હીથી ગોવા લાવવામાં આવ્યા છે. આ પહેલા લાંબા સમયથી દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી હતી.
મળતી માહિતી મુજબ, મનોહર પરિકરની તબિયત ગંભીર બતાવવામાં આવી રહી છે.
બતાવવામાં આવી રહ્યું છે કે, રવિવાર સવારે પરિકરની તબિયત બગડી ગઈ હતી અને તેઓને ICUમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે ગોવાના મુખ્યમંત્રીની સ્થિતિ નાજુક જણાવવામાં આવી રહી છે, ત્યારબાદ એર એમ્બ્યુલન્સ દ્વારા ગોવા લાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનોહર પરિકરને છેલ્લા એક મહિનાથી દિલ્હી સ્થિત એમ્સ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. અમેરિકામાં સારવાર બાદ તેઓને ગત ૧૫ સપ્ટેમ્બરના રોજ એમ્સમાં લાવવામાં આવ્યા હતા.
ગોવાના મુખ્યમંત્રીની ગેરહાજરીમાં રાજકારણમાં પણ ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાજુ શુક્રવારે એમ્સમાં જ પરિકરે સરકારના મંત્રાલયોની ફાળવણી અને સરકારના કામકાજ અંગે મિટિંગ કરી હતી.
બીજી બાજુ કોંગ્રેસ દ્વારા વિધાનસભા સત્ર બોલાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. શનિવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું હતું કે, મનોહર પરિકરની સારી તબિયતની કામના કરીએ છીએ. પરંતુ આ બીમારીમાં તેઓ પર રાજનીતિનો બોજો ન નાખવો જોઈએ.