નવી દિલ્હી,
દુનિયાભરમાં “કેપ્ટન કુલ” તરીકે જાણીતા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીએ ટીમની સિલેકશન કમિટીને ઝટકો આપ્યો છે. ટીમ ઇન્ડિયાની પસંદગી સમિતિને ત્યારે શરમમાં મુકાવું પડ્યું છે, જયારે રવિવારે ધોનીએ ઝારખંડ તરફથી વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ રમવા માટે ઇન્કાર કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા સિલેકશન કમિટીના ચેરમેન એમ કે પ્રસાદ દ્વારા ઘોષણા કરાઈ હતી કે, એમ એસ ધોની વિજય હજારે ટ્રોફીની ફાઈનલ રમશે.
બીજી બાજુ અ વાત પણ સ્પષ્ટ થાય છે કે, પસંદગી સમિતિના સભ્યો અને ટીમ ઇન્ડિયાના સિનીયર ખેલાડીઓ વચ્ચે કોઈ તાલમેલ નથી. હવે ખેલાડીઓ પોતાનો કાર્યકમ જાતે જ નક્કી કરી રહ્યા છે.
ઝારખંડ ટીમના કોચનું કહેવું છે કે, “ધોનીને લાગ્યું હશે કે આ ચરણમાં તેઓ માટે ટીમ સાથે જોડાવવું ઉચિત નહિ હોય, કારણ કે ટીમે સારું પ્રદર્શન કર્યું છે અને ધોનીની ગેરહાજરીમાં જ ટીમે ક્વાર્ટર ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. જેથી ધોની હાલમાં ટીમનું સંતુલન બગાડવા માંગતા નહિ હોય”.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી એમ એસ ધોની પોતાના શાનદાર ફોર્મમાં નથી. ચાલુ વર્ષે પણ ધોનીએ ૧૫ વન-ડે અને ૭ ટી-૨૦ મેચ રમી છે.