દેશભરમાં ચાલી રહેલી ટ્રક ટ્રાન્સપોર્ટરોની હડતાળને એક અઠવાડિયું થયું છે ત્યારે, ગુજરાતમાં ચાલતા ઉદ્યોગોને પણ અસર થવા પામી છે. ઉત્પાદિત થયેલા માલ-સામાન ની હેર ફેર માટે પૂરતા ટ્રાન્સપોર્ટના સંસાધનો ના હોવાથી ઉદ્યોગોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અનુમાન મુજબ ટ્રક ટ્રાન્સપોર્ટરોની હડતાળના કારણે ગુજરાતના ઉદ્યોગોને લગભગ 15,000 કરોડ રૂપિયાનું નુકસાન થઇ શકે છે.
ટ્રાન્સપોર્ટરોની હડતાળના કારણે મોરબીમાં આવેલા સીરામીક ઉદ્યોગોને કોલસાની કમી પડી રહી છે, જયારે કેમિકલ ઉદ્યોગોમાં પણ ઉત્પાદિત જથ્થો પડી રહ્યો છે. સૌથી વધારે નુકસાન સુરતના કાપડ ઉદ્યોગને થવાનું અનુમાન છે.
વ્યાપાર સંસ્થાઓ દ્વારા રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને આ મુદ્દા વિષે જાણકારી આપવામાં આવી હતી.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ જૈમિન વસાએ જણાવ્યું કે ઉદ્યોગો ઉત્પાદિત માલ-સામાનની ડિલિવરી પુરી નથી કરી શકતા. કાચો માલ પણ ટ્રાન્સપોર્ટરોની હડતાળના કારણે પહોંચી શકતો નથી.
લગભગ 80 ટકા નાના અને મોટા ટ્રકો જેનો આંકડો 9 લાખ જેટલો થાય છે, તે હડતાલ પર છે.
જૈમિન વસાએ આગળ જણાવ્યું કે ગુજરાત દવાઓ, સીરામીક અને કાપડ સેક્ટરમાં નિકાસમાં અગ્રેસર છે. હડતાળના કારણે માલ-સમાન બંદર સુધી પહોંચી નથી શકતો. જે કારણે નિકાસકારોને નુકસાન થઇ રહ્યું છે.
ઉત્પાદિત માલની નિકાસ ના થઇ રહી હોવાથી, ઉદ્યોગોના ગોડાઉન ભરાયેલા પડ્યા છે. આ ઉપરાંત ઇંધણ અને કાચા માલની અછત હોવાથી ઉત્પાદન બંધ કરવાનો વારો આવ્યો છે.