નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્ર અને પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ ચન્દ્રકુમાર બોઝ દ્વારા બકરીના માંસને લઈને કરવામાં આવેલા ટ્વિટ બાદ આના પર નવો વિવાદ છેડાઈ ગયો છે. સીકે બોઝ પોતાના ટ્વિટ પર મક્કમ છે. જેમાં એમણે હિંદુઓને બકરીનું માંસ ના ખાવાની સલાહ આપી હતી. બોઝે મોબ લિંચિંગની વધતી ઘટનાઓ પર ટ્વિટ કરીને કહ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બકરીને માતા માનતા હતા. એટલે હિન્દુઓએ બકરીનું માંસ ખાવાનું છોડી દેવું જોઈએ. એમણે લખ્યું હતું કે મારા દાદા સરત ચન્દ્ર બોઝના કોલકાતાના વૂડબર્ન પાર્ક સ્થિત ઘરમાં ગાંધીજી રહેતા હતા. એમણે એ સમયે બકરીના દૂધની માંગ કરી હતી. એમના માટે એ ઘરમાં બે બકરીઓ લાવવામાં આવી હતી. ગાંધીજી એ બકરીઓનું દૂધ પીતા હતા. હિન્દુઓના રક્ષક ગાંધીજી બકરીઓને માતા માનતા હતા. એટલે હિન્દુઓએ બકરીઓનું માંસ ખાવાનું બંધ કરવું જોઈએ.
બોઝના આ ટ્વિટ પર નવો વિવાદ શરુ થઇ ગયો છે. એમણે આ ટ્વિટ પર શનિવારે કહ્યું કે એમની વાતને ઊંડાણથી સમજવાની જરૂર છે. દેશમાં આ સમયે જે મોબ લિંચિંગની હિંસક ઘટનાઓ બની રહી છે, એનાથી પૂરો દેશ ચોંકી ગયો છે. અને લોકો હેરાન પરેશાન છે. જો તમે લોકોને બીફ ખાવા પર પીટો છો, તો આપને પણ બકરીનું માંસ ખાવાનું છોડી દેવું જોઈએ. કારણ કે ગાંધીજી બકરીનું દૂધ પીતા હતા. જો આપ બકરીનું દૂધ પીવો છો, તો એનો મતલબ એ છે કે આપ એને માતા સમાન માનો છો. ધર્મને રાજનીતિ સાથે ના જોડવો જોઈએ.
જણાવી દઈએ કે હાલમાં રાજસ્થાનના અલવરમાં અકબર નામના વ્યક્તિની ગૌ તસ્કરીની આશંકામાં પીટી-પીટીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ મોબ લિંચિંગનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ મોબ લિંચિંગની વધતી ઘટનાઓ પર ગંભીરતા દર્શાવતા કેન્દ્ર સરકારને અલગ કાનૂન બનાવવાની વાત કહી હતી.