દિલ્લી,
ભારત દેશમાં આઝાદી પહેલા અને બાદ પણ અમીર અને ગરીબ લોકોનો તફાવત યથાવત જોવા મળી રહ્યો છે. દેશમાં દિન પ્રતિદિન લોકોની અમીરીમાં વધારો થતો જાય છે સાથે સાથે દેશમાં ગરીબીની સંખ્યામાં ક્રમશઃ વધોરો થયો છે. ડાઓસમાં એક બિન સરકારી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં આ માહિતી બહાર આવી છે. આ સંસ્થા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતના એક ટકા અમીર લોકો પાસે દેશની કુલ ૭૩ ટકા સંપત્તિ છે.
ગત વર્ષના ઓક્સફેમ સર્વેમાં ખુલાસો થયો હતો કે, માત્ર ૧ ટકા લોકો પાસે દેશની કુલ ૫૮ ટકા સંપત્તિ છે. સર્વેમાં રજુ કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૭માં ભારતના એક ટકા અમીરોની સંપત્તિમાં ૨૦.૯ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જે ૨૦૧૭-૨૦૧૮માં કેન્દ્ર સરકારના કુલ નાણાકીય બજેટ જેટલું છે.
દુનિયાના સૌથી વધુ ગરીબ ૩.૭ અબજ લોકોની સંપત્તિમાં કોઈ વધારો થયો છે. મહત્વનું છે કે, ઓક્સફેમ દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા રિપોર્ટના આંકડા મુજબ જ વર્લ્ડ ઇકોનોમિક સમિટમાં પણ ચર્ચા કરવામાં આવતી હોય છે. જાહેર કરવામાં આવેલા રિપોર્ટ બાદ અનુમાન લગાવી શકાય છે કે, ગ્રામીણ ભારતમાં સૌથી ઓછી મજૂરી હાંસલ કરવાવાળા શ્રમિકને કોઈ દિગ્ગજ ગારમેન્ટ કંપનીના શીર્ષ અધિકારી જેટલા વેતન સુધી પહોચવામાં ૯૪૧ વર્ષ લાગી જશે.