નવી દિલ્હી,
ભારતીય રેલ્વે દ્વારા બુધવારથી શ્રી રામાયણ એક્સ્પ્રેસ નામની એક ટ્રેન શરૂઆત કરવામાં આવી રહી છે. આ ખાસ ટ્રેન ભગવાન શ્રી રામ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સ્થળો પર યાત્રા કરાવશે.
રામાયણ એક્સ્પ્રેસ ટ્રેનમાં યાત્રીઓને ૧૬ દિવસના એક પેકેજમાં દેશભરના ભગવાન રામ સાથે જોડાયેલા સ્થળો તેમજ શ્રીલંકાના ૪ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ભારતીય રેલ્વે દ્વારા આ ખાસ ટ્રેન રાજધાની દિલ્હીના સફદરજંગ સ્ટેશન પરથી રવાના થશે.
દિલ્હીના સફદરજંગ સ્ટેશન પરથી રવાના થયા બડા ટ્રેનનો પ્રથમ પડાવ અયોધ્યા હશે. ત્યારબાદ હનુમાન ગઢી, રામકોટ અને કનક ભવન મંદિર પણ જશે.
આ ઉપરાંત રામાયણ એક્સ્પ્રેસ રામાયણ સર્કિટના મહત્વપૂર્ણ સ્થળો જેવા કે નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રુંગપુર, ચિત્રકૂટ, નાસિક, હમ્પી અને રામેશ્વરમમાં જશે.
IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન)ના જણાવ્યા મુજબ, આ ૧૬ દિવસના પેકેજમાં ધર્મશાળામાં ભોજન, રહેવાનું, દર્શનીય સ્થળો પર ફરવાની વ્યવસ્થા હશે.
શું છે ૧૬ દિવસના પેકેજની કિંમત ?
શ્રી રામાયણ એક્સ્પ્રેસ ટ્રેનમાં કુલ ૮૦૦ યાત્રીઓની કુલ ક્ષમતા છે અને પ્રતિ વ્યક્તિ ટિકિટ ૧૫,૧૨૦ રૂપિયા છે.
જો કે શ્રીલંકાના પ્રવાસ માટે અલગથી ખર્ચ લેવામાં આવશે. ૫ રાત અને ૬ દિવસના શ્રીલંકાના પ્રવાસની કિંમત પ્રતિ વ્યક્તિ ૩૬,૯૭૦ રૂપિયા છે. આ પેકેજમાં કેન્ડી, નુવારા એલિયા, કોલંબો અને નેગોંબો શામેલ છે.