દેશના પહેલા હ્યુમન સ્પેસ પ્રોગ્રામ પર જનારા ત્રણ લોકો શ્રીહરિકોટાથી લોન્ચ થયાના લગભગ 16 મિનિટમાં જ અંતરિક્ષમાં પહોંચી જશે. ઇસરોના ચેરમેન કે.સિવને બુધવારે મીડિયા સાથે વાતચીતમાં આ જાણકારી આપી હતી. મીડિયા સામે પ્રેઝન્ટેશન આપતા કે.સિવને કહ્યું કે ભારતીય અંતરિક્ષ યાત્રી લો અર્થ ઓર્બીટમાં (પૃથ્વીથી 300-400 કિમી દૂર) 5 થી 7 દિવસ વિતાવશે. ત્યારબાદ ગુજરાતના અરબ સાગરમાં ક્રૂ મેમ્બર પાછા આવી જશે. કે.સિવને કહ્યું કે પીએમ મોદી તરફથી નક્કી કરવામાં આવેલી 2022ની ડેડલાઈનમાં જ ઈસરો તરફથી ગગનયાન લોન્ચ કરવામાં આવશે.
ત્રણ ભારતીયોને લઇ જવાવાળા ક્રૂ મોડ્યુલ સાથે એક સર્વિસ મોડ્યુલ પણ હશે. આ બંને મૉડ્યૂલ્સને ભેગા કરીને ઓર્બિટલ મોડ્યુલ બનશે. જે એડવાન્સ જીએસએલવી એમ-3 રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
આ યાત્રા પર એક અઠવાડિયા સુધી ત્રણ યાત્રીઓ માઇક્રોગ્રેવીટી અને અન્ય પ્રયોગ કરશે. પાછા ફરતા સમયે ઓર્બિટલ મોડ્યુલ પોતાને રિઑરિએંટ કરી લેશે. ક્રૂ અને સર્વિસ મોડ્યુલ 120 કિલોમીટરના અંતરે અલગ થઇ જશે.
આ મોડ્યુલ 3.4 મીટર પહોળું હશે અને 7 ટન જેટલું વજન હશે.
તૈયારીઓ વિષે સિવને જણાવ્યું કે પહેલી માનવરહિત ટેસ્ટ ફ્લાઇટ 30 મહિનામાં મોકલવામાં આવશે. ત્યાર બાદ બીજી માનવરહિત ટેસ્ટ ફલાઇટને 36 મહિનામાં મોકલવામાં આવશે. પહેલી હ્યુમન સ્પેસ ફલાઈટ 40 મહિનાની અંદર મોકલવામાં આવશે.
કે.સિવને કહ્યું કે આ મિશન માટે જરૂરી બધી જ ટેક્નોલોજીને વિકસિત કરી લેવામાં આવી છે.
મિશન પર જનારા યાત્રિકો વિષે સિવને કહ્યું કે સ્પેસશૂટ તૈયાર છે. ભારતીય વાયુસેના અને ઈસરો દ્વારા સંયુક્ત રીતે ક્રૂ ની પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ એમની 2-3 વર્ષ સુધી તૈયારી કરાવવામાં આવશે. અમે એમને બેંગ્લોરમાં ફેસિલિટી સેન્ટરમાં તૈયારી માટે મોકલીશું.
આ મિશનથી 15,000 નોકરીઓ પેદા થશે. અંતરિક્ષ રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે કહ્યું કે ક્રૂ મેમ્બર્સને ટ્રેનિંગ માટે દેશ બહાર પણ મોકલવામાં આવી શકે છે.