નવી દિલ્હી,
દેશની જાસૂસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા બુધવારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં એકસાથે ૧૬ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને આતંકવાદી સંગઠન ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરાયો હતો.
આ મામલે NIA દ્વારા ૧૦ શંકાસ્પદ વ્યક્તિઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે એજન્સીની તપાસમાં વધુ ખુલાસા થયા છે.
સુરક્ષા એજન્સી દ્વારા ઉત્તરપ્રદેશમાં અમરોહાથી મસ્જિદના એક મૌલવી અને એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એક સિવિલ એન્જિનિયરને પકડી પાડ્યા છે અને આ બંનેને ISISના મોડ્યુલના માસ્ટરમાઈન્ડ માનવામાં આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ પુરા મોડ્યુલનો માસ્ટરમાઈન્ડ ૨૯ વર્ષીય મુફ્તી મોહમ્મદ સુહૈલ દ્વારા પોતાના સહયોગીઓ માટે પૈસા એકઠા કર્યા હતા અને ત્યારબાદ તેઓએ હથિયાર ખરીદ્યા અને બોમ્બ બનાવવાની સામગ્રી ખરીદી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ISIS નું પકડાયેલું આ આતંકી મોડ્યુલ દેશમાં આત્મઘાતી હુમલા કરવાની તૈયારીમાં હતું અને તેમના ટાર્ગેટમાં દેશના મોટા નેતાઓ અને VVIP હતા.
NIA દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બુધવારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં એકસાથે ૧૬ સ્થળોએ દરોડા પાડીને ISIS નું આતંકી મોડ્યુલ ઝડપી પાડવામાં આવ્યું હતું, એટલું જ નહી ૧૦ શંકાસ્પદ વ્યક્તિઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
NIAના આઈજી આલોક મિત્તલે જણાવ્યું હતું કે, “જે પ્રકારની તેમની તૈયારીઓ હતી તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ નજીકના ભવિષ્યમાં દેશના કેટલાક વિસ્તારોમાં રિમોટ કન્ટ્રોલ વડે વિસ્ફોટો કરવાના હતા, એટલું જ નહી આ સાથે જ આત્મઘાતી હુમલાઓ કરવાની પણ યોજનાઓ હતી. આ ISISથી પ્રેરિત એક મોડ્યુલ છે અને તેઓ વિદેશી એજન્ટના સંપર્કમાં પણ હતા. જોકે, હજુ સુધી આ વિદેશી એજન્ટની ઓળખ કરવાની બાકી છે”.