મુંબઈ,
પાંચ રાજ્યોમાં હાલમાં જ સમાપ્ત થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતા બાદ હવે પાર્ટી દ્વારા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની કવાયત હાથ ધરાઈ રહી છે. બિહારમાં મહાગઠબંધનને લઈ થયેલી બેઠક બાદ દેશની સૌથી જૂની પાર્ટી દ્વારા મહારાષ્ટ્રમાં પણ સીટોની ફોર્મુલા નક્કી કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથેના મહાગઠબંધનની એક ફોર્મુલા તૈયાર કરાઈ છે.
મળતી માહિતી મુજબ, રાજ્યની કુલ ૪૮ લોકસભા બેઠકોમાંથી ૪૦ સીટો પર બંને પાર્ટીઓ દ્વારા ૨૦-૨૦ની ફોર્મુલા તૈયાર કરાઈ છે. આ ફોર્મુલામુજબ ૨૦ સીટો પર કોંગ્રેસ અને ૨૦ બેઠકો પર NCP ચૂંટણી લડશે. જો કે ૮ સીટો પર કોઈ નિર્ણય થઇ શક્યો નથી.
મહારાષ્ટ્રના મહાગઠબંધનમાં જોવામાં આવે તો, આ બંને પાર્ટીઓ ઉપરાંત પ્રકાશ આંબેડકરની પાર્ટી, CPI અને CPM, સમાજવાદી પાર્ટી (SP) તેમજ ભાઈ પાટિલની પાર્ટી VWP પણ શામેલ થઇ શકે છે.
બિહારમાં પણ થયું છે મહાગઠબંધન
આ પહેલા બિહારના મહાગઠબંધનને લઈ હાથ ધરાયેલી બેઠકમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ, હિન્દુસ્તાન આવામ મોર્ચાના નેતા જીતન રામ માંઝી, ઉપેન્દ્ર કુશવાહા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
આ દરમિયાન રાજધાની દિલ્હીમાં મળેલી બેઠકમાં ઉપેન્દ્ર કુશવાહ મહાગઠબંધનમાં શામેલ થયા હતા.
સૂત્રોનું માનીએ તો બિહારની ૪૦ લોકસભા બેઠકો માટે ફોર્મુલા નક્કી માનવામાં આવી રહ્યો છે. આ ૪૦ બેઠકોમાં કોંગ્રેસને ૮-૧૨, RJDને ૧૮-૨૦, RLSPને ૪-૫, HAMને ૧-૨ બેઠક અને CPM-CPIને ૧-૧ સીટ મળી શકે છે.
આ ઉપરાંત શરદ યાદવની લોજ્દ પાર્ટીને ૧-૨ બેઠક મળી શકે છે.