નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહેલી બાળકોને ઉપાડતી ગેંગની અફવાને લઇ દેશભરમાં ઘણા લોકોની હત્યા કરવામાં આવી ચુકી છે, તેમજ હાલમાં જ રાજસ્થાનના અલવરમાં પણ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવેલી કથિત અકબર ખાનની હત્યાનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પંહોચી ગયો છે. ત્યારે હવે આ મામલે મોદી સરકાર દ્વારા પણ પોતાની ગંભીરતા દર્શાવતા કડક વલણ અપનાવવા જઈ રહી છે.
મોબ લિન્ચિંગ મામલે હવે મોદી સરકાર દ્વારા એક હાઈ લેવલ કમિટી ગઠિત કરવાનો નિર્ણય કરાયો છે. સરકાર દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવના નેતૃત્વમાં આ કમિટીનું ગઠન કરાયું છે અને ચાર સપ્તાહમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ અપાયો છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ગૃહ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં પણ એક ગ્રુપ ઓફ મિનિસ્ટર (JOM) બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ગ્રુપ હાઈ લેવલ કમિટી દ્વારા કરાયેલા રિપોર્ટ પર વિચાર કરશે.
આ ગ્રુપ ઓફ મિનિસ્ટરમાં રાજનાથ સિંહ ઉપરાંત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી અને સામાજિક ન્યાય મંત્રી થાવર ચંદ ગેહલોત શામેલ છે.
મહત્વનું છે કે, દેશભરમાં મોબ લિન્ચિંગની ઘટનાઓમાં ક્રમશઃ વધારો થયો છે અને હાલમાં જ રાજસ્થાનના અલવરમાં પણ ગૌરક્ષકો દ્વારા અકબર ખાનની કથિત મારમારી હત્યા કરવામાં આવી હતી.