નવી દિલ્હી,
છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થઇ રહેલા સતત વધારા બાદ કિમતો આસમાને પહોંચી છે. આજે રાજધાની દિલ્હીમાં ૮૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૭૩ રૂપિયા પ્રતિ લીટરના સ્તર સુધી પહોચી ચુક્યું છે, ત્યારે કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, ઇંધણ તરીકે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે તો પેટ્રોલ ૫૫ અને ડીઝલ ૫૦ રૂ, લીટર મળી શકે છે.
લાકડાના ટુકડાઓ અને કચરામાંથી બનાવાશે ઇથેનોલ
તેઓએ જણાવ્યું હતું કે, “પેટ્રોલિયમ મંત્રાલય ઇથેનોલ બનાવવા મત એ દેશમાં પાંચ પ્લાન્ટ લગાવી રહ્યું છે. લાકડાના ટુકડાઓ અને કચરાથી ઇથેનોલ બનાવવામાં આવશે”.
દેશમાં ખેડૂત, આદિવાસી લોકો કરી શકે છે ઇથેનોલની ઉત્પાદન
કેન્દ્રીય રસ્તા અને પરિવહન મંત્રીએ જણાવ્યું, “અમે ૮ લાખ કરોડ રૂપિયા રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ આયાત કરી રહ્યા છે અને એની કિંમતો સતત વધી રહી છે. રૂપિયો અમેરિકી ડોલર સામે સતત ગગડી રહ્યો છે. હું છેલ્લા ૧૫ વર્ષથી કહી રહ્યો છું કે, દેશમાં ખેડૂત, આદિવાસી લોકો અને વનવાસી ઇથેનોલ, મિથેનોલ, જૈવ ઇંધણનું ઉત્પાદન કરી શકે છે અને વિમાન ઉડાવી શકે છે”.
છત્તીસગઢ સમગ્ર દેશ માટે જૈવ ઇંધણનું બની શકે છે મોટું કેન્દ્ર
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું, “છત્તીસગઢ સમગ્ર દેશ માટે જૈવ ઇંધણનું મોટું કેન્દ્ર બની શકે છે. નાગપુરમાં અંદાજે એક હજાર ટ્રેક્ટર જૈવ ઇંધણથી ચાલી રહ્યા છે. આજે જરૂરી છે કે જૈવ ઇંધણના ક્ષેત્રમાં અનુસંધાન કરવામાં આવે”.
નીતિન ગડકરીએ ઇથેનોલથી વાહન ચલાવવા અંગે કહ્યું હતું કે, “પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરીને ઉપયોગ કરીને વાહન ચલાવવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે, તેને હજી વધુ પ્રમાણમાં વધારો કરવામાં આવશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી રમણ સિંહ સાથે રાજ્યમાં ૪ હજાર ૨૫૧ કરોડ રૂપિયાના નિર્માણ કાર્યની શરૂઆત કરાવી હતી.