નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી ભારત અને રશિયા વચ્ચે S-400 મિસાઇલ સિસ્ટમની ડીલને લઈ અટકળો સામે આવી રહી હતી ત્યારે હવે આ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતના પ્રવાસે છે, ત્યારે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડન્ટ પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસમાં મળેલી દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન આ સૌદા પર મહોર લાગી છે.
આ મહત્વકાંક્ષી ડીલ હેઠળ હવે ભારત રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમના ૫ સેટ ખરીદશે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બંને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે ૫ બિલિયન ડોલર (અંદાજે 36 હજાર કરોડ રૂપિયા)ના S-400 ડિફેન્સ સિસ્ટમ ડીલ પર હસ્તાક્ષર થયા છે.
આ સાથે જ ભારતની લશ્કરી બેડામાં આ અત્યાધુનિક સિસ્ટમના સમાવેશ સાથે જ દેશના રક્ષા ક્ષેત્રમાં અનેક ઘણો વધારો થશે અને ભારત પોતાના દુશમન દેશોને વધુ તાકાતથી જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ રહેશે.
અમેરિકાએ આપી છે ચેતવણી
જોવામાં આવે તો, ભારત અને રશિયા વચ્ચે થઇ રહેલી આ ડીલ પર સમગ્ર દુનિયાની નજર છે. પુતિનની ભારત યાત્રા પહેલાં જ અમેરિકાએ તેમના સહયોગી દેશોને રશિયા પાસેથી કોઈ પણ પ્રકારની મહત્વની ખરીદી કે કરાર ન કરવાની ચેતવણી આપી છે.
દુનિયામાં મહાસત્તા કહેવાતા અમેરિકાએ સંકેત આપ્યો છે કે, જો અમેરિકાનો કોઈ સહયોગી દેશ રશિયા સાથે કરાર કરશે તો અમેરિકા તેમની સાથેના સંબંધો પર પ્રતિબંધ લગાવી શકે છે.
અમેરિકાએ અગાઉ ચીન પર એસ-400ની ખરીદીના મામલે જ પ્રતિબંધ લાદ્યો હતો.ચીને રશિયા પાસેથી એસ-400 અને સુખોઇ સુ-35 લડાકુ વિમાન ખરીદવાની ડીલ કરી હતી. આ ડીલથી નારાજ થઇને અમેરિકાએ ચીન પર પ્રતિબંધ મુક્યો હતો. રશિયા સાથે એસ-400 ખરીદનાર દેશ પર પ્રતિબંધ મુકવાની ચીમકી અમેરિકા આપી રહ્યું છે.