નવી દિલ્હી,
રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ અશોક ગેહલોતના ઈલેક્શન લડવા અંગે ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ મુકાયા બાદ હવે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ આ જાહેરાતથી પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટના મુખ્યમંત્રી બનવાના સપના સામે પણ મુશ્કેલી ઉભી થતી જોવા મળી રહી છે.
જો કે બન્ને નેતાઓએ ક્યારેય ખુલીને આ અંગે પોતાની દાવેદારી રજુ કરી નથી. ગહલોત તરફથી ચુંટણી લડવાની જાહેરાત બાદ પાયલટે પણ કહ્યુ કે, તે પણ ચુંટણી લડશે.
આ અંગે પૂછવામાં આવતા પાયલટે જણાવ્યુ કે, તે કઈ સીટ પરથી ચુંટણી લડશે, તેનો નિર્ણય પાર્ટી કરશે.
મહત્વનું છે કે, ગહલોતના ચુંટણી મેદાનમાં ઉતરવાના નિર્ણય બાદ તેમને રાજ્યમાં પાર્ટીની અંદર મજબુત સમર્થન મળતુ નજરે પડી રહ્યુ છે.
જો કે, બુધવારે આ જાહેરાત બાદ કોંગ્રેસ સંગઠન મહાસચિવ ગહલોતે એ પણ સ્પષ્ટ કર્યુ કે, પાર્ટી રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર નહીં કરે.
ગહલોતે જણાવ્યુ હતું કે, અમે બધા મેદાનમાં એકસાથે ચુંટણી માટે ઉતરી રહ્યા છીએ. અને ચુંટણી લડીશું.
આ પ્રસંગે હાજર પાયલટે પણ જણાવ્યુ કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે રાહુલ ગાંધીજીના આદેશ બાદ અને અશોક ગહલોતજીના આગ્રહ બાદ હું પણ વિધાનસભા ચુંટણી લડીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આ બંને દિગ્ગજ નેતાઓ રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણી લડશે નહિ.
અશોક ગેહલોતની વાત કરવામાં આવે તો, તેઓ સરદારપુરામાંથી ચૂંટણી લડતા આવ્યા છે, જયારે સાંસદ રહેલા સચિન પાયલોટની આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે.
રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે અને વિધાનસભાની ચૂંટણીની મતગણતરી એક સાથે ૧૧ ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.