નવી દિલ્હી,
અયોધ્યાના રામ મંદિરના નિર્માણને લઈ ચાલી રહેલા વિવાદ અંગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે જમીન પર દાવા અંગે અલ્હાબાદ હાઈકોર્ટ પડકાર આપવામાં આવેલા નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીને ટાળી દેવામાં આવી છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચ દ્વારા રામ મંદિરની વિવાદિત ભૂમિ અંગે આ આદેશ આપવામાં આવ્યો છે. ત્રણ જજોની આ બેન્ચમાં CJI રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ એમ જોસેફ શામેલ છે.
અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અપાયો હતો આ નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ ૨૦૧૦માં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા અયોધ્યાની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને ત્રણ ભાગોમાં વહેચવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા આ જમીનને ભગવાન રામલલા, નિર્મોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડ એમ ત્રણ ભાગોમાં વહેચવા માટે આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પુર્નવિચાર કરવા માટે કર્યો હતો ઇન્કાર
આ પહેલા ૨૭ સપ્ટેમ્બરના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા વર્ષ ૧૯૯૪ના કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર પુર્નવિચાર કરવા માટે ઇન્કાર કર્યો હતો.
આ મામલાની સુનાવણી તે સમયના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નજીર કરી રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૨:૧ની બહુમતીથી પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, આ મામલાની સુનાવણી પુરાવાઓના આધારે જ હાથ ધરાશે.