નવી દિલ્હી,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો ત્રણ દિવસીય વ્યાખ્યાન કાર્યક્રમ સોમવારથી રાજધાની દિલ્હીમાં શરુ થઇ ચુક્યો છે. ભવિષ્ય ભારતના નામથી શરુ થયેલા પ્રથમ દિવસે RSSના પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો રાખ્યા હતા.
જો કે આ વ્યાખ્યાન કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કેન્દ્રની મોદી સરકારનું નામ લીધા વગર તેઓને બે મોટા સંદેશ આપ્યા હતા.
સંઘનું મુક્ત નહી પણ યુક્ત પર છે જોર
વર્ષ ૨૦૧૪માં સત્તા પર બિરાજમાન થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “કોંગ્રેસ મુક્ત ભારત“નો નારો આપ્યો હતો. જયારે આ અંગે જણાવતા RSS પ્રમુખે કહ્યું હતું કે, સંઘ મુક્ત નહિ પણ યુક્ત પર જોર આપે છે”.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે લોકો સર્વ લોક્યુક્તવાળા વ્યક્તિ છીએ, મુક્ત વાળા નહિ.તમામને જોડવાનો જ અમારો પ્રયાસ છે, જેથી બધાને એક કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ માટે જ સંઘને સાથે તમામ સાથે નિકટતા છે, જેઓ આજે વિરોધ કરી રહ્યા છે તેઓ પણ અમારી સાથે છે. સંઘ માત્ર એ જ ચિંતા કરે છે કે, તેઓના વિરોધથી કોઈ ક્ષતિ તો થતી નથી”.
સંઘ પ્રમુખે કહ્યું હતું કે, “RSS શોષણ અને સ્વાર્થ રહિત સમાજ ઈચ્છે છે. સંઘ એવો એક સમાજ ઈચ્છે છે કે, જેમાં તમામ લોકોનું સન્માન હોય અને કોઈની સાથે ભેદભાવ ન હોય”.
સંઘ પ્રમુખે કોંગ્રેસની પણ કરી પ્રશંસા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ સતત જણાવતા આવ્યા છે કે, “છેલ્લા ૬૦ વર્ષમાં દેશમાં કોઈ કામ થયું નથી”.
ભાજપની આ વાતનો જવાબ આપતા સંઘ પ્રમુખે કહ્યું હતું કે, આઝાદીની લડતમાં કોંગ્રેસની ભૂમિકા રહી છે. કોંગ્રેસ દ્વારા જ દેશની સ્વતંત્રતા માટે સમગ્ર દેશમાં એક આંદોલન ઉભું થયું હતું અને દેશનેઆઝાદી મળી હતી. આઝાદી પછી પણ કોંગ્રેસે દેશમાં કામ કર્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે, સંઘ પ્રમુખ દ્વારા વાતો વાતોમાં કોઈનું નામ લીધા વગર મોદી સરકાર માટે એક સંદેશો આપ્યો છે.