દિલ્લી,
સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચુકેલા નરેશ અગ્રવાલ પોતાની પાર્ટી છોડીને અંતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રાજધાની દિલ્લી સ્તિથ ભારતીય જનતા પાર્ટીના હેડકવાર્ટર ખાતે નરેશ અગ્રવાલે કેન્દ્રીયમંત્રી રેલ્વે મંત્રી પિયુષ ગોયેલ અને પાર્ટી પ્રવક્તા સંબિત પાત્રાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ૪૭ ધારાસભ્યો છે ત્યારે તેઓ આ સ્તિથીમાં માત્ર એક જ ઉમેદવારને રાજ્યસભામાં મોકલી શકે છે. ત્યારે એસપી દ્વારા તાજેતરમાં જ રાજ્યસભાના ઉમેદવાર તરીકે નરેશ અગ્રવાલનું નામ બાજુ પર રાખીને જયા બચ્ચનને ટિકિટ આપી હતી. ત્યારબાદ તેઓ પાર્ટીથી નિરાશ થયા હતા.
બીજેપીનો ખેસ ધારણ કર્યા બાદ નરેશ અગ્રવાલે જયા બચ્ચન પર નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “ફિલ્મોમાં કામ કરવાવાળી સાથે મારી સરખામણી કરવામાં આવી છે, તેઓના નામ પર જ મારી ટિકિટ કાપવામાં આવી છે. હું ભાજપમાં કોઈ શર્ત સાથે આયો નથી સાથે સાથે મારા દ્વારા કોઈ રાજ્યસભા માટેની ટિકિટ પણ માંગવામાં આવી નથી”.
ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા અંગે તેઓએ જણાવ્યું હતું કે, “આજે હું BJPમાં જોડાઈ રહ્યો છું. હું માનું છું કે જ્યાં સુધી રાષ્ટ્રીય પાર્ટીમાં નહીં રહીએ ત્યાં સુધી દેશની સેવા કરી શકાય એમ નથી. તેથી મારા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પીએમ મોદી અને યુપીના સીએમ અંગે અગ્રવાલે કહ્યું, “હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગીથી પ્રભાવિત થયો છું. સરકાર જે રીતે વિકાસના કામો કરી રહી છે, તેનાથી નિશ્ચિત છે કે પીએમ મોદીના નેતૃત્વમાં તેમની સાથે હોવું જોઈએ.
મહત્વનું છે કે, ભાજપમાં જોડાયા પહેલા તેઓ જયારે સપાના રાજ્યસભાના સાંસદ હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદીના ખુબ વિરોધી હતા. આ પહેલા તેઓ ખાસ કરીને બળાત્કાર, કુલભૂષણ જાધવ મામલે આપેલા નિવેદનોને લઈને પણ ખાસ ચર્ચામાં રહેતા હતા.