ઇન્દોર,
પીએમ નરેન્દ્ર મોદીની નજીક ગણાંતા આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજે પોતાની જાત પર ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભૈય્યુજી મહારાજે કથિત રીતે પોતાને ગોળી મારતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા,જ્યાં તેઓને ડોકટરોએ મૃત ઘોષિત કર્યા હતા.
ભૈય્યુજી મહારાજે પોતાની જાત પર કેમ ગોળી મારી તે રહસ્ય હજુ સામે નથી આવ્યું. જો કે તેઓએ કથિત આત્મહત્યા કર્યા બાદ મોટી સંખ્યામાં તેમના સમર્થકો હોસ્પિટલ બહાર એકઠાં થયા હતા.
ભૈય્યુજી મહારાજને થોડાક સમય અગાઉ જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
ભૈય્યુજી મહારાજ આ પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા હતા વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જયારે સદભાવના ઉપવાસ પર બેઠા હતા ત્યારે આં ઉપવાસ તોડાવવા માટે તેઓએ ભૈય્યુજી મહારાજને આમંત્રિત કર્યા હતા.
આ ઉપરાંત ૨૦૧૧માં સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ જયારે દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરુધ અન્નસન પર બેઠા હતા ત્યારે તેઓના ઉપવાસ ખતમ કરવા માટે તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા ભૈય્યુજી મહારાજને પોતાનો દૂત બનાવીને મોકલ્યા હતા. ત્યારબાદ તેઓએ અન્ના હજારેને પોતાના હાથથી જ્યુસ પીવડાવીને અન્નસન તોડાવ્યું હતું.
ભૈય્યુજી મહારાજની જન્મ ૨૯ એપ્રિલ, ૧૯૬૮ના રોજ સુજાલપુરમાં થયો હતો. તેઓનું અસલી નામ ઉદય સિંહ દેશમુખ હતું. પહેલા તેઓ કપડાની બ્રાંડ માટે મોડલિંગ કરી ચુક્યા છે, અને ત્યારબાદ તેઓ ભૈય્યુજી મહારાજના નામથી સંત બન્યા બાદ દેશના દિગ્ગજ રાજનેતાઓના સંપર્કમાં હતા.
ભૈય્યુજી મહારાજ એક સદગુરુ દત્ત ધાર્મિક ટ્રસ્ટ પણ ચલાવે છે. તેઓ આ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપતા હતા તેમજ કેદીઓના બાળકોને અભ્યાસ પણ કરાવે છે. સાથે સાથે તેઓ ખેડૂતોને ખાધ બીજ મફતમાં આપે છે.