કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરૂવનંતપુરમથી સાંસદ શશી થરૂરની તિરૂવનંતપુરમ સ્થિત ઓફિસ પર કેટલાક ભાંગફોડિયા તત્વોએ સોમવારે તોડફોડ કરી હતી. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા થરૂરે કહ્યું હતું કે જો કેન્દ્રમાં ભાજપ સરકાર ફરી સત્તામાં આવશે તો ભારત હિન્દૂ પાકિસ્તાન બની જશે. શશી થરૂરની ટિપ્પણીના કારણે અસામાજિક તત્વોએ એમની ઓફિસની દીવાલો કાળા ઓઇલથી લિપ્ત કરી દીધી હતી.
કોંગ્રેસ નેતાએ આ કારનામા માટે ભાજપ યુવા મોરચાને જવાબદાર ઠેરવ્યા હતા. તેમજ કેસરિયા પાર્ટી પર બર્બરતા અને હિંસાને લઈને ખુબ વરસ્યા હતા. થરૂરે આ હુમલાને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો હતો.
થરૂરે ટ્વિટ કરતા લખ્યું કે આજે ભાજપ યુવા મોરચાના અસામાજિક તત્વોએ મારા ચૂંટણી ક્ષેત્ર તિરુવનંતપુરમની મારી ઓફિસ પર હુમલો કર્યો હતો. એમણે કાળું ઓઇલ ઓફિસની દીવાલો, દરવાજા અને બોર્ડ પર રેડ્યું હતું અને નિર્દોષ નાગરિકોને ભગાડ્યા હતા. તેમજ અપમાનજનક બેનર્સ લગાડ્યા હતા. અને મને પાકિસ્તાન જતા રહેવા માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા.
થરૂરે એમની ઓફિસની મુલાકાત લીધા બાદ આગળ જણાવ્યું કે હું મારા નિવેદન પર કાયમ છું. હું મારા શબ્દો પાછા લેવાનો નથી.
ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ સોમવારે થરૂર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા, અને ઓફિસમાં ઘુસી ગયા હતા. તેમજ હિન્દૂ પાકિસ્તાન ઓફિસ લખેલા બેનર્સ લગાવ્યા હતા. જયારે આ ઘટના બની એ સમયે થરૂર ઓફિસમાં હાજર નહતા. એમણે શશી થરૂરના રાજીનામાની પણ માંગ કરી હતી.
તિરુવનંતપુરમ જિલ્લાના ભાજપ પ્રમુખ એસ સુરેશે કહ્યું કે આ ઘટના એક ખોટા નિવેદન નો વિરોધ હતો. થરૂર અહીંથી લોસભાના સાંસદ હોય, એમના ખોટા નિવેદન ના કારણે આ વિરોધ થયો હતો.