ભુજ,
થુરાયા સેટેલાઇટ ફોનના ઉપયોગ પર ભારતમાં પ્રતિબંધ છે ત્યારે ગુજરાતમાં સરહદી વિસ્તારમાં તેનો ફરી ઉપયોગ થયો હોવાની ઘટના સામે આવી છે. ભારત-પાકિસ્તાન આતંરરાષ્ટ્રીય સરહદ નજીકના ગુજરાતના બનાસકાંઠા તથા કચ્છ જિલ્લામાં થુરાયા સેટેલાઇટ ફોનના ઉપયોગથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કચ્છના લખતપ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સીમાની ૨૫૦ મીટર અંદર વાતચીત ટ્રેસ થતાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ માં આ વિસ્તારોમાં થુરાયા સેટેલાઇટફોન પર પાકિસ્તાનથી આવેલા સંદેશાના સિગ્નલ ટ્રેસ થયા હતા. થુરાયા સેટફોનની હેડ ઓફિસ દુબઈમાં છે અને ઓનલાઇન પણ આ ફોન વેચાય છે. રાજ્યમાં કચ્છ અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં થુરાયા સેટેલાઇટ ફોન ઉપયોગમાં લેવાયો હોવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવી હતી. જોકે આ અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ કોઇ માહિતી જાહેર કરવામાં આવી નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર, થુરાયા સેટફોનના ઉપયોગની સૌથી વધુ ઘટના કચ્છને અડીને આવેલી ભારત પાકિસ્તાન બોર્ડર નજીકના વિસ્તારમાં બની હોવાનું પણ જાણવા મળે છે.