દેશભરમાં રામ મંદિરના નિર્માણને લઇ જોવા મળતા ગરમાવા વચ્ચે વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભાને લઈ રામનગરી અયોધ્યામાં ગરમીનો પારો ખુબ વધી ગયો છે ત્યારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ હવે એક હુંકાર ભરી છે.
અયોધ્યા પહોચેલા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સૌપ્રથમ રામલલાના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓએ એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, “હિન્દુઓની ભાવનાઓ સાથે ન રમવું જોઈએ. અટલજી એ કહ્યું હતું કે, હિંદુ માર ખાશે નહિ. આ પહેલાના દિવસો ચાલ્યા ગયા, હવે હિંદુઓ તાકાતવર થઇ ગયા છે. હવે હિંદુ માર તો ખાશે જ નહિ, પરંતુ ચૂપ પણ બેસશે નહી”.
અયોધ્યાની યાત્રા અંગે તેઓએ કહ્યું, “મારી આ યાત્રા સફળ રહી છે. સંતોને મેં કહ્યું કે, જે કાર્ય અમે કરવા જઈ રહ્યા છે તે તમારા સહકાર વિના શક્ય બનશે નહિ. સમગ્ર દેશ રાહ જોઈ રહ્યો છે કે રામ મંદિરનું નિર્માણ ક્યારે થશે”.
આ પહેલા શનિવારે અયોધ્યા પહોચ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, “મને રામ મંદિરના નિર્માણનો શ્રેય જોઈતો નથી, પરંતુ મને રામ મંદિરના નિર્માણની તારીખ જોઈએ છે. અમે બધા સાથે મળીને રામ કરીશું તો મંદિરનું નિર્માણ જલ્દી થશે”.
તેઓએ વધુમાં કહ્યું, “હું અયોધ્યા રાજનીતિ કરવા માટે આવ્યો નથી. કેન્દ્રની મોદી સરકાર રામ મંદિર પર કાયદો લાવે. હવે રામ મંદિર પર હિંદુ ચૂપ રહેશે નહિ”.
વર્તમાન મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું, “રામ મંદિર પર ભાજપ છેલ્લા ચાર વર્ષથી કુંભકર્ણ બની ગઈ છે, હવે હું તેઓને જગાડવા માટે અયોધ્યા આવ્યો છું”.