નવી દિલ્હી,
દેશની સૌથી મોટી સરકારી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ મોદી દેશ છોડી ભાગી ચુક્યો છે, ત્યારે હવે આ કેસની તપાસ કરી રહેલી CBI દ્વારા બંને કૌભાંડી વિરુધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે વિનંતી કરાઈ હતી, જો કે આ વચ્ચે નીરવ મોદી અંગે એક ચોકાવનારો ખુલાસો થયો છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “જયારે ભારતમાં નીરવ મોદીની તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે તે લંડનમાં પોતાના જ્વેલરી સ્ટોરની ઉપર બનેલા ફ્લેટમાં રહ્યો હતો. બ્રિટિશ અખબાર સંડે ટાઈમ્સે આ ખુલાસો કર્યો છે.
પોતાના જ્વેલરી સ્ટોરની ઉપર બનેલા ફ્લેટમાં છુપાયો હતો નીરવ મોદી
અખબારમાં કરાયેલા દાવા મુજબ, પંજાબ નેશનલ બેંકમાં કૌભાડ આચર્યા બાદ નીરવ મોદીની જયારે ભારતમાં તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે તે લંડનના મેફેયર વિસ્તારમાં ઓલ્ડ બોન્ડ સ્ટ્રીટમાં જ્વેલરી સ્ટોરની ઉપર બનેલા ફ્લેટમાં છુપાયો હતો.
સંડે ટાઈમ્સ દ્વારા એક ભારતીય અધિકારીના જણાવવાથી લખ્યું, “આ લોકો હંમેશા લંડનમાં જ શા માટે છુપાતા હોય છે ?. કારણ કે લંડન તેઓ માટે સુરક્ષિત સ્થાન છે”.
બ્રિટિશ અખબાર દ્વારા કહેવામાં આવ્યું, “નીરવ મોદીના બ્રિટેનને સેફ હેવન બનાવવાના કારણે બંને દેશોના પરસ્પર સંબંધો પર પણ અસર પડી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસ એજન્સી CBI દ્વારા સતત આ કૌભાંડના આરોપીઓને શોધવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાગેડુ નીરવ મોદીને શોધવા માટે CBI દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે તેમજ બંને કૌભાંડી વિરુધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે વિનંતી કરાઈ હતી.
સેન્ટ્રલ એજન્સી દ્વારા PNB સ્કેમના ૨૫ લોકો વિરુધ દાખલ કરાયા છે કેસ
પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૩૦૦૦ કરોડ રૂપિયાના ગોટાળા બાદ પોલીસ તેમજ સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા ૨૫ લોકો સામે ચાર્જ ફાઈલ કરાયા છે. જેમાં મુખ્ય કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોકસી, PNB બેન્કના પૂર્વ ચીફ ઉષા અનંત સુબ્રમણ્યમ, બે બેન્કના ડાયરેકટર તેમજ નીરવ મોદીની કંપનીના ત્રણ લોકો શામેલ છે.